ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર મંગળવારે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 268 થયો છે, જ્યારે 151 લોકો હજુ પણ ગુમ છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ એજન્સીએ આ જાણકારી આપી છે. એજન્સીએ કહ્યું કે ઈમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો કાઢવાનું કામ સતત ચાલી રહ્યું છે. એજન્સીના વડા સુહર્યંતોએ મીડિયાને જણાવ્યું કે સોમવારે બપોરે સિયાંગજુર શહેર નજીક આવેલા 5.6-ની તીવ્રતાના ભૂકંપમાં અન્ય 1,083 લોકો ઘાયલ થયા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
અધિકારીઓએ જણાવ્યું કે માર્યા ગયેલા લોકો ઉપરાંત 300થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને ઓછામાં ઓછા 600 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ છે. ભૂકંપથી ગભરાઈને, રહેવાસીઓ શેરીઓમાં બહાર આવ્યા, જેમાંથી કેટલાક લોહીથી લથપથ થઈ ગયા. ભૂકંપના કારણે ગ્રામ્ય વિસ્તારની આસપાસની ઈમારતો ધરાશાયી થઈ ગઈ હતી. પેર્ટીનેમ નામની મહિલાએ જણાવ્યું કે જ્યારે તેને આંચકાનો અનુભવ થયો ત્યારે તે તેના પરિવાર સાથે ઘરની બહાર આવી અને તેના થોડા સમય બાદ તેનું ઘર પડી ગયું.
તેણે કહ્યું, ‘હું રડી રહી હતી અને હું તરત જ મારા પતિ અને બાળકો સાથે બહાર આવી ગઈ.’ મહિલાએ કહ્યું, ‘જો મેં તેમને બહાર ન કાઢ્યા હોત તો અમે પણ જીવ ગુમાવી શક્યા હોત.’
અમારો ધ્યેય તમામ પીડિતોને શોધવાનો છે – હેનરી
રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સીના વડા હેનરી અલફિયાન્ડીએ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે સિયાંગજુરના ઉત્તર-પશ્ચિમમાં સિજેડિલ ગામમાં ભૂસ્ખલન થયું હતું, રસ્તાઓ બંધ થઈ ગયા હતા અને અનેક મકાનો પડી ગયા હતા. તેમણે કહ્યું, ‘અમે એવા ઘણા સ્થળોએ ઓપરેશનને આગળ વધારી રહ્યા છીએ જ્યાં એવી શંકા છે કે હજુ પણ જાનહાનિ થઈ શકે છે. અમારી ટીમો દૂરના વિસ્તારોમાં પણ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.’ તેમણે કહ્યું, ‘અમારા માટે, તમામ પીડિતો પ્રાથમિકતા છે, અમારો ઉદ્દેશ્ય તેમને શોધીને તેમને વહેલી તકે બહાર કાઢવાનો છે જેથી તેઓનો જીવ બચાવી શકાય અને તબીબી સહાય મળે.’
હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો
હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. દર્દીઓ વધુ સારવારની રાહ જોઈને બહાર તંબુમાં સ્ટ્રેચર પર સૂઈ રહ્યા છે. પશ્ચિમ જાવાના ગવર્નર રિદવાન કામિલે જણાવ્યું હતું કે મૃતકોમાં ઘણા પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ હતા જેઓ દિવસના વર્ગો પૂરા કર્યા પછી મદરેસાઓમાં વધારાના વર્ગો લઈ રહ્યા હતા. ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને પુલો, પાવર આઉટેજ અને ભારે કોંક્રિટના કાટમાળને દૂર કરવા માટે મોટા સાધનોની અછતને કારણે શરૂઆતમાં બચાવ કાર્ય અવરોધાયું હતું. મંગળવાર સુધીમાં પાવર સપ્લાય અને કોમ્યુનિકેશન સિસ્ટમમાં સુધારો થવા લાગ્યો હતો.
પબ્લિક વર્કસ એન્ડ હાઉસિંગ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા આન્દ્રા આત્મવિદજજે જણાવ્યું હતું કે બચાવ કામગીરી સિઆનજુરમાં લગભગ એક ડઝન સ્થળો પર કેન્દ્રિત હતી જ્યાં લોકો હજુ પણ ફસાયેલા હોવાની આશંકા છે. “અમે લોકોને બચાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ,” તેમણે કહ્યું. આત્મવિદજજે જણાવ્યું હતું કે પડોશી શહેરો બાંડુંગ અને બોગોરમાંથી 7 ઉત્ખનકો અને 10 મોટી ટ્રકો રસ્તાઓ પરથી પડી ગયેલા વૃક્ષો અને કાદવને દૂર કરવા માટે તૈનાત કરવામાં આવી હતી.
#UPDATE The death toll from an earthquake on Indonesia’s main island of Java jumped to 268, reports AFP News Agency https://t.co/SrW2TOaIot
— ANI (@ANI) November 22, 2022
રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ સિયાંગજુરની મુલાકાત લીધી
જકાર્તાથી ખોરાક, તંબુ, ધાબળા અને અન્ય પુરવઠો વહન કરતી કાર્ગો ટ્રક મંગળવારે વહેલી સવારે અસ્થાયી આશ્રયસ્થાનો પર પહોંચી હતી. તેમ છતાં આફ્ટરશોક્સના ડરથી હજારો લોકોએ ખુલ્લામાં રાત વિતાવી હતી. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ મંગળવારે સિઆનજુરની મુલાકાત લીધી હતી અને જરૂરિયાતમંદોને સરકારની મદદની ખાતરી આપી હતી. ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવામાં સોમવારે આવેલા તીવ્ર ભૂકંપ અને આફ્ટરશોક્સના કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે.
5.4ની તીવ્રતાનો ભૂકંપ
યુએસ જીઓલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે 5.4-તીવ્રતાનો ભૂકંપ પશ્ચિમ જાવા પ્રાંતના સિઆનજુર ક્ષેત્રમાં 10 કિલોમીટર (6.2 માઇલ) ની ઊંડાઈ પર કેન્દ્રિત હતો. ઈન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર અને ક્લાઈમેટોલોજી અને જિયોફિઝિકલ એજન્સી અનુસાર, ભૂકંપ પછી વધુ 25 આફ્ટરશોક્સ નોંધાયા હતા. વિશાળ દ્વીપસમૂહ રાષ્ટ્રમાં ધરતીકંપો વારંવાર આવે છે, પરંતુ જકાર્તામાં તેનો અનુભવ કરવો અસામાન્ય છે. ઈન્ડોનેશિયાની વસ્તી 270 મિલિયનથી વધુ છે અને તે વારંવાર ભૂકંપ, જ્વાળામુખી ફાટવા અને સુનામીથી પ્રભાવિત થાય છે.
Published On - 8:55 am, Wed, 23 November 22