ઈન્ડોનેશિયાની સંસદે મંગળવારે નવા ફોજદારી કાયદાને મંજૂરી આપી હતી. આ નવા કાયદા હેઠળ લગ્ન બહારના શારીરિક સંબંધો બાંધવાને અપરાધના દાયરામાં લાવવામાં આવ્યો છે. આનું ઉલ્લંઘન કરવા પર એક વર્ષની જેલ થઈ શકે છે. આ નિયમ ઈન્ડોનેશિયાના નાગરિકો અને દેશમાં રહેતા વિદેશીઓને સમાનરૂપે લાગુ પડશે.આ સાથે લગ્ન પછી પાર્ટનર સિવાય અન્ય કોઈ સાથે શારીરિક સંબંધ બાંધવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે આ મામલામાં પોલીસ કાર્યવાહી પતિ-પત્ની અથવા બાળકોની ફરિયાદ બાદ જ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
નવા કાયદા મુજબ માત્ર પતિ-પત્નીને જ શારીરિક સંબંધ રાખવાનો અધિકાર હશે. આવી સ્થિતિમાં જો કોઈ પરિણીત અથવા અપરિણીત મહિલા કે પુરૂષ આ કાયદાનું ઉલ્લંઘન કરે છે તો તેને એક વર્ષ સુધી જેલમાં જવું પડી શકે છે. આ સાથે તેમના પર દંડ પણ લગાવી શકાય છે.
જો કે, આ મામલે જ્યારે કોઈ મહિલા કે પુરૂષ તેમના પાર્ટનર અથવા અવિવાહિત લોકોના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવશે, ત્યારે કાર્યવાહી કરવામાં આવશે. કોર્ટમાં ટ્રાયલ પહેલા ફરિયાદ પાછી ખેંચી શકાય છે. પરંતુ જો કોર્ટમાં ટ્રાયલ શરૂ થશે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર ઈન્ડોનેશિયાના ડેપ્યુટી જસ્ટિસ મિનિસ્ટર એડવર્ડ ઓમર શરીફે ન્યૂઝ એજન્સી રોઈટર્સ સાથે આ અંગે વાત કરી હતી. ઓમર શરીફે કહ્યું કે અમને આ નિર્ણય પર ગર્વ છે, કારણ કે તે ઇન્ડોનેશિયન મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.
ઇન્ડોનેશિયામાં ત્રણ વર્ષ પહેલા પણ હંગામો થયો હતો
લગભગ ત્રણ વર્ષ પહેલા ઇન્ડોનેશિયામાં આ કાયદાને લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ હજારો લોકો રસ્તા પર આનો વિરોધ કરવા લાગ્યા, જેના કારણે સરકારે પીછેહઠ કરવી પડી. તે સમયે વિરોધ કરી રહેલા લોકોએ આ કાયદાને ‘ફ્રીડમ ઓફ સ્પીચ’નું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
ખાસ વાત એ છે કે જો આ પ્રસ્તાવ ઇન્ડોનેશિયામાં કાયદો બની જાય છે, જે પ્રવાસીઓને મોટા પાયા પર આવકારે છે, તો તે માત્ર ઇન્ડોનેશિયાના નાગરિકોને જ નહીં પરંતુ અહીં આવતા વિદેશીઓ પર પણ લાગુ થશે. આ કારણથી ઈન્ડોનેશિયાના ઘણા બિઝનેસ ગ્રુપોએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે સરકારનું આ પગલું માત્ર પ્રવાસન જ નહીં રોકાણકારોને પણ અસર કરી શકે છે.
Published On - 10:04 am, Wed, 7 December 22