ભારતનું AI Vision : મોટા મોડેલ નહીં, ROI આધારિત AIથી ભારત કરશે વૈશ્વિક નેતૃત્વ – અશ્વિની વૈષ્ણવ
દાવોસ ખાતે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં, ભારતે તેની 5-સ્તરીય AI સ્ટેક વ્યૂહરચના રજૂ કરી, જે એપ્લિકેશનથી માંડીને ચિપ અને ઊર્જા સ્તરો સુધી AI ક્ષમતાઓને વિસ્તૃત કરે છે.

ભારત આજે વૈશ્વિક સ્તરે AI ક્ષેત્રમાં બીજા જૂથમાં નહીં પરંતુ સ્પષ્ટપણે પ્રથમ જૂથમાં આવે છે. આ વાત કેન્દ્રિય આઈટી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ એ સ્પષ્ટ શબ્દોમાં કહી. તેમણે કહ્યું કે IMF પ્રમુખ ક્રિસ્ટાલિના જ્યોર્જિએવા દ્વારા કરાયેલ વર્ગીકરણ ભારતની વાસ્તવિક સ્થિતિ દર્શાવતું નથી. સ્ટેનફોર્ડ AI રેડીનેસ ઇન્ડેક્સ મુજબ ભારત AI તૈયારીમાં ત્રીજા ક્રમે છે અને AI પ્રતિભામાં દુનિયામાં બીજા સ્થાને છે, જે ભારતની મજબૂત સ્થિતિ દર્શાવે છે.
AI આર્કિટેક્ચરમાં પાંચ મહત્વના સ્તરો હોય છે – એપ્લિકેશન લેયર, મોડેલ લેયર, ચિપ લેયર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેયર અને એનર્જી લેયર. અશ્વિની વૈષ્ણવના જણાવ્યા મુજબ ભારત આ પાંચેય સ્તરો પર એકસાથે કામ કરી રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. ખાસ કરીને એપ્લિકેશન લેયરમાં ભારત વિશ્વનો સૌથી મોટો AI સર્વિસ પ્રોવાઇડર બનવાની ક્ષમતા ધરાવે છે.
તેમણે જણાવ્યું કે AIમાં સફળતા મોટા મોડેલો બનાવવાથી નથી આવતી, પરંતુ ROI એટલે કે રોકાણ પર મળતા વળતરથી આવે છે. 20 થી 50 અબજ પેરામીટર ધરાવતા મોડેલો 95% કામ માટે પૂરતા સાબિત થાય છે. ભારત આવા મોડેલોનો સંપૂર્ણ “બુકે” તૈયાર કરી ચૂક્યું છે, જે પહેલેથી જ વિવિધ ક્ષેત્રોમાં ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે.
AI ને ભૂ-રાજકીય શક્તિ તરીકે જોવાની માન્યતા પર પ્રશ્ન ઉઠાવતા અશ્વિની વૈષ્ણવે કહ્યું કે માત્ર વિશાળ મોડેલ બનાવવાથી કોઈ દેશને વૈશ્વિક દબદબો મળતો નથી. ભારત જેવા દેશ માટે સૌથી મહત્વનું છે કે તે પોતાની જરૂરિયાત મુજબ કાર્યક્ષમ અને ઓછા ખર્ચાળ AI સોલ્યુશન્સ વિકસાવે. CPUs અને કસ્ટમ સિલિકોનના વ્યાપક ઉપયોગથી કોઈ એક દેશ પર નિર્ભર રહેવાની જરૂર નથી, એટલે ભૂ-રાજકીય ધાર અહીં લાગુ પડતી નથી.
AIને તેઓ પાંચમી ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખાવે છે. આ ક્રાંતિનું અર્થશાસ્ત્ર સ્પષ્ટ છે – સૌથી ઓછા ખર્ચે સૌથી વધુ અસરકારક ઉકેલો. જો 30 અબજ પેરામીટરનું મોડેલ 80% કામ કરી શકે છે, તો GPUની પણ જરૂર રહેતી નથી. આ જ AIનો વ્યવહારુ અને ટકાઉ અભિગમ છે, એમ તેમણે કહ્યું.
ભારતમાં AIના વ્યાપક પ્રસાર માટે સરકારે ખૂબ જ વ્યવસ્થિત યોજના ઘડી છે. સૌથી મોટી અડચણ GPUની ઉપલબ્ધતા હતી, જેને દૂર કરવા માટે સરકારે જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ 38,000 GPUsનો એક પેનલ બનાવ્યો છે. આ કમ્પ્યુટ સુવિધા વિદ્યાર્થીઓ, સંશોધકો, સ્ટાર્ટઅપ્સ અને ઉદ્યોગો માટે ખુલ્લી છે અને તેનો ખર્ચ વૈશ્વિક સ્તરે તુલનાત્મક રીતે ત્રીજા ભાગ જેટલો છે.
આ ઉપરાંત, સરકારે મફત અને ઓપન AI મોડેલોનો સમૂહ તૈયાર કર્યો છે, જે દેશની મોટાભાગની જરૂરિયાતો પૂર્ણ કરે છે. સાથે જ 1 કરોડ લોકોને AI સ્કિલ્સમાં તાલીમ આપવાનો કાર્યક્રમ અમલમાં છે. IT ઉદ્યોગને પણ AI આધારિત ઉત્પાદકતા વધારતી સેવાઓ તરફ દોરવામાં આવી રહ્યો છે, જેથી ભારત વૈશ્વિક ડિજિટલ અર્થતંત્રમાં મજબૂત સ્થાન મેળવી શકે.
નિયમન અને શાસન અંગે વાત કરતાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે AI માટે માત્ર કાયદા પૂરતા નથી. ટેક્નો-લીગલ અભિગમ જરૂરી છે. ડીપફેક શોધ, બાયસ ઘટાડો, અને મોડેલ તૈનાત કરતા પહેલા યોગ્ય અનલર્નિંગ જેવી પ્રક્રિયાઓ માટે ટેક્નોલોજીકલ સોલ્યુશન્સ વિકસાવવામાં આવી રહ્યા છે, જેથી આ સાધનો કોર્ટમાં પણ માન્ય રહી શકે.
કુલ મળીને, ભારત AIને માત્ર ટેકનોલોજી તરીકે નહીં પરંતુ વિકાસ, શાસન અને વૈશ્વિક નેતૃત્વના સાધન તરીકે અપનાવી રહ્યું છે. ઝડપથી બદલાતી વૈશ્વિક ભૂ-રાજનીતિ વચ્ચે, ભારત પોતાની સ્વતંત્ર AI દિશા સાથે વિશ્વ મંચ પર એક મજબૂત અને આત્મવિશ્વાસભર્યો ખેલાડી બની રહ્યું છે.
ફ્લેક્સિબલ સોલાર પેનલ આવી ગયું! ઇન્સ્ટોલ કરવું એકદમ સરળ, જાણો કિંમત
