દુનિયા પાસેથી ભીખ માંગે છે દગાબાજ, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પર શાહબાઝ સરકાર પર ઈમરાનખાનનો પ્રહાર
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાનખાને વીડિયો દ્વારા પોતાની પાર્ટીના સાંસદોને સંબોધતા, પાકિસ્તાનની સરખામણીમાં ભારત અને બાંગ્લાદેશની પ્રગતિ વિશે પણ વાત કરી.

પાકિસ્તાનમાં હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે શાસક ગઠબંધનના નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે વડા પ્રધાન શેહબાઝ શરીફની આગેવાની હેઠળના આ “દગાખોર” એ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે, અને હવે તેઓ વિશ્વ સમક્ષ ભીખ માંગી રહ્યા છે. સોમવારે પાકિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જીનેવા ખાતે યોજાયેલ પરિષદમાં આંતરરાષ્ટ્રીય સમુદાયે, પાકિસ્તાનમાં ગયા વર્ષના વિનાશક પૂર પછી દેશને આબોહવા-મૈત્રીપૂર્ણ રીતે પુનઃનિર્માણ કરવામાં મદદ કરવા માટે 10 બિલિયનથી વધુ ડોલરની મદદ કરવાનું વચન આપ્યું છે, જે પછી ખાનની આ ટિપ્પણી આવી છે.
ભારતના વખાણ, શરીફ-ઝરદારી પરિવારની ટીકા
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષે વીડિયો દ્વારા પોતાની પાર્ટીના સાંસદોને સંબોધિત કરતા પાકિસ્તાનની સરખામણીમાં ભારત અને બાંગ્લાદેશની પ્રગતિ વિશે પણ વાત કરી. ખાને કહ્યું, જરા આઈટી સેક્ટરનો જ દાખલો લો. 2000માં ભારતની IT નિકાસ US$1 બિલિયન હતી અને આજે વધીને US$140 બિલિયન થઈ ગઈ છે. અને જુઓ આજે આપણે ક્યાં ઉભા છીએ. બે પરિવારો – શરીફ અને ઝરદારી – 35 વર્ષથી સત્તામાં છે, પરંતુ ક્યારેય નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નથી.
દગાખોરોએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી નાખી
ઈમરાન ખાને કહ્યું કે આ ફક્ત એટલા માટે થયું છે કારણ કે ‘દગાખોરોનુ ટોળુ’ આપણા પર લાદી દેવામાં આવ્યું છે. ખાને કહ્યું કે શાહબાઝના નેતૃત્વમાં આ દગાખોરોએ દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે અને હવે તેઓ સંઘર્ષ કરી રહેલી અર્થવ્યવસ્થા માટે દુનિયા પાસે ભીખ માંગી રહ્યા છે.
શરીફ સરકારની નીતિઓનું પરિણામ
પાકિસ્તાનમાં સ્થિતિ અતિ ખરાબ થઈ ગઈ છે. અહીંથી જે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે તે જોઈને એવું લાગે છે કે જાણે આપણો દેશ ભયંકર આપત્તિમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ આ શરીફ સરકારની ખોટી નીતિઓનું પરિણામ છે. અહીં મોંઘવારી એટલી વધી ગઈ છે કે 5 રૂપિયામાં મળતું બિસ્કિટ 50 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. લોટ લગભગ સમાપ્ત થઈ ગયો છે. લોકો 24-24 કલાક લાઈનોમાં ઉભા રહીને લોટની બોરી ખરીદી રહ્યા છે, પરંતુ તેની કિંમત પણ 3100 થી 3500 સુધી પહોંચી ગઈ છે.
ખાદ્ય કટોકટી
પાકિસ્તાનની હાલત જોઈને લોકોના દિલમાં પરસેવો છૂટી જાય છે. ભલે આ દેશ આતંકવાદીઓનું આશ્રયસ્થાન છે અને તેનો ઉપયોગ ભારત માટે કરે છે, પરંતુ અહીંના નિર્દોષ બાળકો જે રીતે દરેક રોટલી માટે તરસી રહ્યા છે, તે જોઈને અફસોસ થાય છે. એક દિવસ પહેલા અમેરિકા અને સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આર્થિક મદદ આપી છે, પરંતુ ખાદ્ય સંકટ દૂર થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.