
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેલના પુરવઠામાં અવરોધ વચ્ચે રશિયાએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિર્દેશ બાદ 1 એપ્રિલ 2026થી રશિયા વિદેશમાં પેટ્રોલની નિકાસ બંધ કરી દેશે. રશિયાના ડેપ્યુટી પીએમ એલેક્ઝાન્ડર નોવાકની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળનો મુખ્ય હેતુ રશિયાના સ્થાનિક બજારમાં તેલની કિંમતોને અંકુશમાં રાખવાનો અને પોતાના નાગરિકોને પૂરતું ઈંધણ પૂરું પાડવાનો છે.
ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં કાચું તેલ મંગાવી રહ્યું છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવને કારણે જ્યારે સપ્લાય ખોરવાયો છે ત્યારે રશિયા ભારત માટે મોટો આધાર હતું. હવે નિકાસ પરના પ્રતિબંધથી ભારતની મુશ્કેલીઓ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી હતી.
જોકે ભારત સરકારે આ બાબતે રાહત આપતા જણાવ્યું છે કે દેશમાં હાલમાં પેટ્રોલ ડીઝલ અને કાચા તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારત પાસે આગામી બે મહિના સુધી ચાલે તેટલો સુરક્ષિત સ્ટોક છે. દેશની રિફાઇનરીઓ અત્યારે 100 ટકા કે તેથી વધુ ક્ષમતા પર કામ કરી રહી છે. વધુમાં ભારતમાં એલપીજી ઉત્પાદનમાં પણ 20 ટકાનો વધારો થયો છે જેના કારણે ઘરગથ્થુ વપરાશમાં કોઈ સમસ્યા નહીં આવે. સરકાર સંગ્રહખોરી રોકવા માટે પણ કડક પગલાં ભરી રહી છે જેથી સામાન્ય જનતાને કોઈ તકલીફ ન પડે.
રશિયા દુનિયાના મોટા તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે. તેના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ઉછાળો આવી શકે છે. મિડલ ઈસ્ટના સંઘર્ષને કારણે પહેલેથી જ કાચા તેલ અને એલએનજીના ભાવ વધી રહ્યા છે ત્યારે રશિયાનું આ પગલું બજારને વધુ ટાઈટ બનાવશે. ભારત સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને વૈશ્વિક ઉતાર ચઢાવ વચ્ચે સ્થાનિક કિંમતો સ્થિર રાખવા પ્રયત્નશીલ છે.