ભારત ગલવાન ઘાટીની ઘટના બાદ ચીનને સતત આર્થિક ઝટકા આપી રહ્યું છે. મોટી મોટી દિગ્ગજ ચીની કંપનીઓના પ્રોજેક્ટ રદ કરવામાં આવી રહ્યાં છે. ચીની કંપનીઓને કરોડો રુપિયાની કમાણી કરી આપતા 59 એપ્સ પર ભારત સરકારે દેશની સુરક્ષાના લીધે પ્રતિબંધ લાદી દીધો છે. જો કે હવે વીજળીના ક્ષેત્રમાં પણ ચીની કંપનીઓની હકાલપટ્ટી થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી આરકે સિંહે આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે.
કેન્દ્રીય મંત્રી આરકે સિંહે એક ખાનગી ચેનલના ઈન્ટરવ્યૂમાં કહ્યું કે પાવર પ્રોજેક્ટ માટે જે પણ સામાન ચીનથી આયાત થાય છે હવે સરકાર તેની પર નિયંત્રણ લાવી શકે છે. આ ક્ષેત્રમાં કસ્ટમ ડ્યૂટી પણ સરકાર વધારી શકે છે. જો કસ્ટમ ડ્યૂટી વધે તો આયાતમાં ઘટાડો થઈ શકે છે. ચીની કંપનીઓ પર નિયંત્રણ લાવવા માટે સરકાર નિયમો પણ કડક કરી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે ભારતની સાથે સમગ્ર દુનિયા છે.
ઉલ્લેખનીય છે કે બુધવારના રોજ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નિવેદન આપ્યું હતું કે ભારતમાં મોટા હાઈવે પ્રોજેક્ટમાં ચીની કંપનીઓને સ્થાન આપવામાં આવશે નહીં. આટલું જ નહીં ચીની કંપનીઓ ભારતીય કંપનીઓ સાથે પાર્ટનરશીપમાં હશે તો પણ તેઓ રોડના પ્રોજેક્ટમાં કામ કરી શકશે નહીં. દેશમાં રેલવેએ ચીની કંપનીનો કોન્ટ્રાક્ટ રદ કરી દીધો છે. ભારતની સરકારી ટેલિકોમ કંપનીઓ પણ 4Gના ઈન્સ્ટોલેશનમાં ચીની કંપનીઓની મદદ લેશે નહી. આમ દેશમાં એક પછી એક ક્ષેત્રમાં ચીની કંપનીઓની હકાલપટ્ટી થઈ રહી છે.
Published On - 10:56 am, Thu, 2 July 20