તમે સાર્વજનિક શૌચાલયમાં ગયા જ હશો, પરંતુ શું તમે ક્યારેય ત્યાં ટાઈમર લગાવેલું જોયું છે, જે પબ્લિક ટોયલેટમાં કોઈ કેટલા ટાઈમથી અંદર બેઠો છે તે જણાવે ? ના, પરંતુ આજકાલ ચીનમાં આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યું છે. વાસ્તવમાં, ચીને તાજેતરમાં જ યુંગાંગ બૌદ્ધ ગ્રોટોઝમાં ટોઇલેટ ટાઈમર લગાવ્યા છે. ચીનના શાંક્સી પ્રાંતમાં યુંગાંગ બૌદ્ધ ગ્રોટોઝ એ એક પ્રાચીન બૌદ્ધ મંદિર છે, જ્યાં 200 થી વધુ ગુફાઓ અને હજારો બુદ્ધ પ્રતિમાઓ છે. યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહરનો દરજ્જો આપ્યો છે.
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, અહીં બનેલા પબ્લિક ટોયલેટમાં ટાઈમર લગાવવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે દરવાજો કેટલા સમય સુધી બંધ છે એટલે કે વ્યક્તિ બાથરૂમની અંદર કેટલો સમય રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે હોબાળો મચી ગયો છે લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
કર્મચારીના જણાવ્યા મુજબ, ઘણી વખત પ્રવાસીઓ બાથરૂમમાં જરૂરિયાત કરતાં વધુ સમય પસાર કરે છે. જો તેમને બાથરૂમની અંદર કંઈક થઈ જાય અથવા કોઈ ઈમરજન્સી પરિસ્થિતિ ઊભી થાય તો આવી સ્થિતિમાં તેમને બચાવી શકાય છે, એટલે કે પ્રવાસીઓની સુરક્ષા માટે આ ટાઈમર લગાવવામાં આવ્યું છે. જોકે બીજી બાજુ કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.
અન્ય એક કર્મચારીએ કહ્યું કે આ ટાઈમર બાથરૂમના ઉપયોગનો સમય નક્કી કરશે નહીં. કોઈપણ વ્યક્તિ બાથરૂમની અંદર ગમે તેટલો સમય પસાર કરી શકે છે. આ ટાઈમર જ બતાવશે કે દરવાજો કેટલા સમયથી બંધ છે. આ રીતે, બહાર હાજર લોકોને બિનજરૂરી રીતે દરવાજો ખટખટાવવાની જરૂર રહેશે નહીં. તે જ સમયે, કેટલાક અન્ય કર્મચારીઓએ કહ્યું કે એવું નથી કે જો કોઈને વધારે ટાઈમ લેશે તો તેને બાથરૂમમાંથી બહાર કાઢી દેવામાં આવશે, ન તો ટાઈમર કોઈ સમય મર્યાદા નક્કી કરશે કે કોણ શૌચાલયની અંદર કેટલો સમય વિતાવશે.
જો કે, કર્મચારીઓએ આ ટાઈમર લગાવવા પાછળનો તર્ક આપ્યો હોવા છતાં ચીનમાં તેને લઈને હોબાળો થયો છે. ત્યાં આવતા પ્રવાસીઓનું કહેવું છે કે તેમને લાગે છે કે જાણે તેમની ગોપનીયતાનો ભંગ થઈ રહ્યો છે.
Published On - 1:47 pm, Sun, 16 June 24