US Iran Talks Breaking News: અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પાકિસ્તાન બન્યું ‘મધ્યસ્થ’, યુદ્ધ રોકાશે કે વધુ ઉગ્ર બનશે?

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આજે અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ શાંતિ ચર્ચા શરૂ થઈ રહી છે. બે અઠવાડિયાના સીઝફાયર બાદ આ બેઠક યુદ્ધને અંત લાવી શકે છે કે તણાવ વધારી શકે છે.

US Iran Talks Breaking News: અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પાકિસ્તાન બન્યું મધ્યસ્થ, યુદ્ધ રોકાશે કે વધુ ઉગ્ર બનશે?
US Iran War Breaking News Peace Talks in Pakistan Today High Stakes Meeting Could Decide War Outcome
Image Credit source: AI Generated, Social Media
| Updated on: Apr 11, 2026 | 8:51 AM

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા વિનાશ અને સંઘર્ષને અટકાવવા માટે પાકિસ્તાનમાં ચર્ચા માટે મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આજે તેની રાજધાની ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચસ્તરીય ચર્ચા યોજાવાની છે. બંને દેશો લાંબા સમયથી એકબીજાના કટ્ટર વિરોધી રહ્યા છે, તેથી આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પરંતુ ઈરાનની તરફથી હજુ અનિશ્ચિતતા યથાવત છે. આ અનિશ્ચિતતાનું મુખ્ય કારણ ઈરાન દ્વારા ઈઝરાયેલ અને લેબનાન સાથે જોડાયેલી એક શરત છે.

પાકિસ્તાનની શંકાસ્પદ ભૂમિકા

આ ચર્ચા અંગે પાકિસ્તાન પોતે પણ સસ્પેન્સ ઊભું કરી રહ્યું છે. કારણ કે પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફના એક સોશિયલ મીડિયા પોસ્ટે પરિસ્થિતિને વધુ જટિલ બનાવી દીધી છે અને પાકિસ્તાન પોતે જ એક મોટા ‘વિલન’ તરીકે સામે આવી રહ્યું છે. પાકિસ્તાની રક્ષા પ્રધાન ખ્વાજા આસિફના એક નિવેદને ઈઝરાયેલને સૈન્ય તૈયારીઓ તેજ કરવા માટે મજબૂર કરી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગાઝા પછી ઈરાન અને હવે લેબનોનમાં પણ હિંસા યથાવત છે. તેમના આ નિવેદનથી પરિસ્થિતિ વધુ સંવેદનશીલ બની ગઈ છે. જોકે, વધતા દબાણ વચ્ચે તેમણે પોતાનો પોસ્ટ ડિલીટ કરી દીધો હતો, પરંતુ તેની અસર પહેલેથી જ દેખાવા લાગી છે.

અમેરિકાની તરફથી જેરેડ કુશનર અને ઉપપ્રમુખ જેડી વેન્સ એ નેતૃત્વ સંભાળ્યું છે. જ્યારે ઈરાને પોતાના અનુભવી વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલીબાફને મોકલ્યા છે. આ પ્રતિનિધિમંડળની સુરક્ષા વ્યવસ્થા પાકિસ્તાની સેનાના પ્રમુખ આસીમ મુનીર પોતાની દેખરેખ હેઠળ રાખી રહ્યા છે.

આ કારણે આખા શહેરમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે. છતાં, આટલી તૈયારી હોવા છતાં આ ચર્ચા એટલી સરળ નથી.

ઈરાનનો 10 મુદ્દાનો એજન્ડા

આ પરિસ્થિતિમાં હવે યુદ્ધને નવી દિશા મળી શકે છે. ચર્ચા નિષ્ફળ જવાની શક્યતા વધુ છે, કારણ કે ઈરાન પોતાના 10 મુદ્દાના એજન્ડા પર અડગ છે. ઈરાનનો દાવો છે કે હોર્મુઝ જળમાર્ગ પર તેનો નિયંત્રણ રહેશે અને ત્યાંથી પસાર થતી નૌકાઓ પાસેથી કર વસૂલવામાં આવશે. સાથે જ, અમેરિકા પશ્ચિમ એશિયા છોડે તેવી પણ માંગ છે. સૌથી મહત્વપૂર્ણ શરત એ છે કે લેબનાન પર ઈઝરાયેલના હુમલા બંધ થયા વગર કોઈ સમજૂતી શક્ય નથી.

આવા મુદ્દાઓનું નિરાકરણ પાકિસ્તાનમાં મળશે એવી આશા ખૂબ ઓછી છે. બીજી તરફ, અમેરિકાની તરફથી ડોનાલ્ડ ટ્રમ્પનો 15 મુદ્દાનો પ્રસ્તાવ પણ પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. તેમાં મુખ્ય માંગ છે કે ઈરાન પોતાનું યુરેનિયમ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરે, મિસાઇલ પ્રોગ્રામ અટકાવે અને પોતાના સહયોગી દેશોથી મળતી મદદ છોડે.

યુદ્ધ વધવાની આશંકા

આ સાથે ટ્રમ્પની કડક ચેતવણી પણ જોડાઈ છે- સમજૂતી કરો અથવા ગંભીર પરિણામો માટે તૈયાર રહો. પાકિસ્તાનનું પક્ષકાર તરીકે ઉભું થવું અને ઈરાનનું હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ જળમાર્ગ પર નિયંત્રણ રાખવું એ દર્શાવે છે કે સંઘર્ષ હવે સમાપ્ત નહીં થાય, પરંતુ વધુ ભડકી શકે છે.

ચર્ચા નિષ્ફળ થવાની સંભાવના

આ તમામ પરિસ્થિતિઓ સૂચવે છે કે ઈઝરાયેલ આ ચર્ચાના પક્ષમાં નથી. યુદ્ધવિરામ માત્ર અમેરિકાની તરફથી જાહેર કરવામાં આવ્યું છે, ઈઝરાયેલ તરફથી નહીં. બીજી તરફ, શક્ય છે કે લેબનોન પર ચાલુ હુમલાઓને કારણે ઈરાન પોતે જ ચર્ચા અટકાવવાની તૈયારીમાં હોય.

ઈરાનનું વલણ સ્પષ્ટ છે શરતો માન્ય કરશો તો જ સમજૂતી થશે, નહીં તો યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે. અને જો યુદ્ધ વધુ ભડકાશે, તો તેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળી શકે છે.

11 એપ્રિલના મહત્વના સમાચાર : અમેરિકા અને ઇરાન વચ્ચે આજે શાંતિ વાર્તા, ઇસ્લામાબાદની સેરેના હોટલમાં થશે શાંતિવાર્તા

Published On - 8:25 am, Sat, 11 April 26

Follow Us