બાંગ્લાદેશ (Bangladesh)માં હિંદુ સમુદાયો પર સતત થઈ રહેલા હુમલાના વિરોધમાં હિંદુ સંગઠનો છેલ્લા થોડા દિવસોથી ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સંગઠનોએ હિંદુ સમુદાયો (Hindu Community) પર થયેલા હુમલાઓ, હિંદુઓની હત્યાઓ, હિંદુ યુવતિ પર વધતી દુષ્કર્મની ઘટનાઓના વિરોધમાં શુક્રવારે ચટગાંવમાં એક પ્રદર્શન રેલી (Protest Rally) આયોજિત કરી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ બાંગ્લાદેશમાં હિંદુઓ પર કટ્ટરવાદી બર્બરતાપૂર્ણ હુમલાઓ વધી રહ્યા છે. જેના વિરોધમાં અનેક હિંદુ સંગઠનોએ દેશભરમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી તોફાની તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
બાંગ્લાદેશની એક ન્યૂઝ એજન્સી ‘હિંદુ સંગબાદ’ એ તેમની એક ટ્વીટર પોસ્ટમાં જણાવ્યુ છે કે નારેલમાં હિંદુઓ પર હુમલાઓના વિરોધમાં સમગ્ર બાંગ્લાદેશમાં અલગ અલગ હિંદુ સંગઠનોએ વિરોધ માર્ચ યોજી શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યુ હતુ અને હુમલાખોરો સામે સખ્ત કાર્યવાહીની માગ કરી હતી. તો બાંગ્લાદેશના ગૃહમંત્રી અસદુજ્જમા ખાને હવે આ તમામ ઘટનાક્રમ પર જણાવ્યુ કે દેશની સરકાર સાંપ્રદાયિક સૌહાર્દ બગાડનારા લોકો પર કડક કાર્યવાહી કરશે. તેમણે વધુમાં જણાવ્યુ કે ”બાંગ્લાદેશમાં કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક વિવાદની મંજૂરી નહીં આપવામાં આવે, સરકાર દેશની શાંતિને ડહોળનારા લોકો સામે સખ્ત કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે”
ખાને એક ફેસબુક પોસ્ટને લઈને હાલમાં જ નરૈલમાં હિંદુઓ પર કરાયેલા હુમલા સંબંધે આ વાત કહી છે. તેમણે જણાવ્યુ કે ”બાંગ્લાદેશના વિકાસની દિશામાં પ્રયત્નશીલ છે. પરંતુ કેટલાક લોકો અહીં માહોલ બગાડવાની કોશિષ કરી રહ્યા છે. આજનું બાંગ્લાદેશ બંગબંધુ શેખ મુજીબનું બિનસાંપ્રદાયિક બાંગ્લાદેશ છે, આ એક સંયુકત રાષ્ટ્ર છે. આથી અહીં કોઈપણ પ્રકારના સાંપ્રદાયિક હુમલાઓની પરવાનગી આપવામાં નહીં આવે”
આ પહેલા દેશમાં હિંદુઓ પર વધતા હુમલાના સંબંધમાં બાંગ્લાદેશના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે (NHRC) ગૃહમંત્રાલયને આ હુમલાઓની સઘન તપાસનો નિર્દેશ આપ્યો હતો. એટલુ જ નહીં NHRCએ એ પણ જણાવ્યુ કે એક ધર્મ નિરપેક્ષ દેશમાં સાંપ્રદાયિક હુમલાઓ અને તોફાનો કોઈપણ પ્રકારે સ્વીકાર્ય નથી. આયોગે ગૃહમંત્રાલયને પણ સવાલ કર્યો હતો કે શું આ હુમલાઓ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો? પોલીસે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી હતી ?
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાયના લોકો પર અને હિંદુ મંદિરો પર પ્રતિદિન હુમલાઓ વધી રહ્યા છે. સાંપ્રદાયિક હુમલાઓ અને તોફાનો એ સમયે વધુ તેજ થઈ ગયા જ્યારે એક ફેસબુક પોસ્ટ દ્વારા ઈસ્લામના કથિત અપમાનની વાત સામે આવી હતી. એક યુવકે ફેસબુક પર કંઈક આપત્તિજનક પોસ્ટ લખી હતી. ત્યારબાદ મુસ્લિમ સમુદાયના લોકોમાં આક્રોષ જોવા મળ્યો હતો. જોતજોતામાં સમગ્ર બાબતે હિંસાનું સ્વરૂપ લઈ લીધુ અને હિંદુ ધર્મના લોકોની દુકાનો અને ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરવામાં આવી.
નારેલ જિલ્લાના સહપારા ગામમાં કેટલાક લોકોએ અનેક હિંદુઓના ઘરોમાં તોડફોડ કરી હતી તેમજ એક મકાનને આગને હવાલે કરવામાં આવ્યુ હતુ. મંદિરો પર ઈંટો ફેંકવામાં આવી હતી. અનેક દુકાનોને પણ નિશાન બનાવાઈ હતી. આપને જણાવી દઈએ કે ગત વર્ષે બાંગ્લાદેશના કેટલાક હિંદુ મંદિરોમાં દુર્ગા પૂજા સમારોહ દરમિયાન અજાણ્યા મુસ્લિમ કટ્ટરવાદીઓએ તોડફોડ કરી હતી, આ ઘટના પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે સરકારે 22 જિલ્લામાં અર્ધ સૈનિક દળોને તૈનાત કરવુ પડ્યુ હતુ. આ દરમિયાન થયેલા તોફાનોમાં 4 લોકોના મોત પણ થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા.