આતંકીસ્તાનમાં થયો હુમલો, ઇમારતો થઈ ઢેર અને હાઈવે પર થયું રમખાણ
ભારતમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાન હાલ પોતાના આંતરિક સંઘર્ષોથી ઝઝૂમી રહ્યું છે. એવામાં પાકિસ્તાનમાં થયેલ હુમલાએ ત્યાંનાં લોકોને હચમચાવી નાખ્યા છે.

ભારતમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાન હાલ પોતાના આંતરિક સંઘર્ષોથી ઝઝૂમી રહ્યું છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં પાકિસ્તાનનું કનેક્શન છે તેવું સામે આવ્યું છે. સિંધમાં પાણીની અછતને કારણે હાહાકાર મચ્યો છે અને એમાંય સ્થાનિક લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો છે. આ દરમિયાન બલૂચિસ્તાનના કલાતમાં હુમલો થયો છે. જેમાં કવેટા કરાચી હાઇવેને મોટી સંખ્યામાં બંદૂકધારીઓએ જામ કરી રાખ્યો છે. આ સિવાય વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, આ ઘટના કલાત જિલ્લાના મોંગોચાર વિસ્તારમાં બની છે. આ વિસ્તારમાં સરકારી ઈમારતોને નુકસાન પહોંચ્યું છે, જેમાં નેશનલ બેન્ક ઓફ પાકિસ્તાનની ઓફિસ, સ્થાનિક અદાલત સિવાય બીજા કાર્યાલયો પણ જોડાયેલા છે. ત્યાંના સ્થાયી લોકોનું કહેવું છે કે, આ આતંકી હુમલામાં ઈમારતોને ભારે નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ નજીકમાં આવેલ પાકિસ્તાનની આર્મી કેમ્પ પર પણ હુમલો થયો હતો પરંતુ એની પુષ્ટિ થઈ નથી.
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ અનુસાર, બંદૂકધારીઓએ નેશનલ હાઈવે પર ઉભેલા વાહનો ચેક કર્યા તેમજ અનેક બસો અને ગાડીઓમાંથી લોકોને ઉતારીને પૂછપરછ કરી. જેના લીધે હાઈવે પર ટ્રાફિક વધતો ગયો. કરાચીથી ક્વેટાને જોડતો હાઇવે બ્લોક કરીને તપાસ કરવી એ મોટી ઘટના છે.
માનવામાં આવે છે કે, બલૂચ લિબરેશન આર્મીના લોકોએ આ હુમલો કર્યો હતો. તેઓ પંજાબી મૂળના લોકોને નિશાન બનાવવા માંગતા હતા. તેઓ તેમની ઓળખ મેળવવા માંગતા હતા અને જો તેઓ પંજાબી મૂળના હોત તો તેમના જીવને જોખમ થઈ શકે તેમ હતું. આવી ઘણી ઘટનાઓ સતત જોવા મળી રહી છે જેમાં બલૂચ લિબરેશન આર્મીના લોકોએ પાકિસ્તાનના પંજાબના લોકોને નિશાન બનાવીને મારી નાખ્યા છે.
સુત્રો મુજબ જાણવા મળ્યું છે કે, લાંબા સમય સુધી આ હુમલાખોરોએ ઈમારતો પર કબજો જમાવ્યો હતો. ઘટના વિશેની માહિતી મળ્યા બાદ જ્યારે સુરક્ષાકર્મી ત્યાં આવ્યા તો આ લોકો ત્યાંથી ભાગી ગયા. નવાઈની વાત તો એ છે કે, કોઈ પણ પાકિસ્તાની ઓફિસર તેમને પકડી શક્યા નહોતા. આટલું જ નહીં, હાઈવે ફરીથી શરૂ કરવામાં પણ ઘણો સમય લાગી ગયો હતો.
આવી જ બીજી ઘટના શુક્રવારે રાત્રે બની હતી, જેમાં મોટરસાયકલ પર આવેલા હથિયારબંદ લોકોએ એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ લોકોએ ટોલ વસૂલનાર કર્મચારી હક નવાઝ લાંગોવેની હત્યા કરી નાખી હતી. આટલું જ નહીં, એ જ રાત્રે રસ્તા પર બનેલા એક પુલને પણ વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યો હતો. પુલ ધરાશાયી થવાની આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી નહોતી.