
આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદમાં, ઈરાનના યુદ્ધ જહાજ ઉપર અમેરિકાએ કરેલા હુમલાના કારણે ઈરાની જહાજનો વિનાશ થયો છે. ઈરાને આ હુમલાને અત્યાચાર ગણાવ્યો છે અને કહ્યું છે કે “ભારતીય નૌકાદળના મહેમાન” પર હુમલો કરવા બદલ અમેરિકાને ભારે કિંમત ચૂકવવી પડશે. અહેવાલ મુજબ, આઈરિસ દેના પર લગભગ 180 લોકો સવાર હતા, જેમાંથી 32 લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ઈરાનના વિદેશ પ્રધાન સૈયદ અબ્બાસ અરાઘચીએ કહ્યું, “આશરે 130 ખલાસીઓ અને ભારતીય નૌકાદળના મહેમાન એવા ઈરાનના જહાજ ફ્રિગેટ દેના પર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદમાં કોઈપણ જાતની ચેતવણી વિના હુમલો કરવામાં આવ્યો હતો. મારા શબ્દો યાદ રાખજો, અમેરિકાને જે ઉદાહરણ રજૂ કર્યું છે તેના ઉપર તેમને ખૂબ જ પસ્તાવો થશે.” ઈરાનના આ જહાજે તાજેતરમાં ભારત દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય નૌકાદળ કવાયતમાં ભાગ લીધો હતો.
અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેગસેથે વોશિંગ્ટનમાં જણાવ્યું હતું કે, એક અમેરિકન સબમરીને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદમાં ઈરાની યુદ્ધ જહાજને ડૂબાડી દીધુ છે. તેમણે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધ પછી દુશ્મનદેશના યુદ્ધ જહાજને ટોર્પિડોથી ડૂબાડવામાં આવ્યું હોવાની આ પહેલી ઘટના છે. હેગસેથે પત્રકારોને જણાવ્યું હતું કે, “એક અમેરિકન સબમરીને એક ઈરાની યુદ્ધ જહાજને ડૂબાડી દીધુ છે. જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદમાં પોતાને સુરક્ષિત માનતા હતા. પરંતુ તેને ટોર્પિડોથી ડૂબાડવામાં આવ્યુ હતુ.”
તેમણે કહ્યું કે યુએસ સૈન્યએ ઈરાનનુ એ યુદ્ધ જહાજને ડૂબાડી દીધુ છે કે જેનું નામ સુલેમાનીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. સુલેમાની એ ઈરાનના ભૂતપૂર્વ જનરલ કાસેમ સુલેમાની હતા, જેમને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન યુએસ દળો દ્વારા મારી નાખવામાં આવ્યા હતા.
ઈરાનના નવા યુદ્ધ જહાજોમાંનું એક, આઇરિસ દેના, એક મૌદગે શ્રેણીનું ફ્રિગેટ છે. જે ઈરાની નૌકાદળ માટે સમુદ્રમાં પેટ્રોલિંગ કરે છે. તે ભારે તોપ, સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલો, તેમજ જહાજ વિરોધી મિસાઇલો અને ટોર્પિડોથી સજ્જ હતું. આ જહાજમાં એક હેલિકોપ્ટર પણ હતું. યુએસ સૈન્યના સેન્ટ્રલ કમાન્ડના વડા એડમિરલ બ્રેડ કૂપરે જણાવ્યું હતું કે, વર્તમાન યુદ્ધ દરમિયાન ઓછામાં ઓછા 17 ઈરાની નૌકા જહાજોને ડૂબાડી દેવામાં આવ્યા હતા. તેમણે તાજેતરમાં એક વીડિયોમાં જણાવ્યું હતું કે, “અમે ઈરાની નૌકાદળને પણ – સમગ્ર નૌકાદળને ડૂબાડી રહ્યા છીએ,”
શ્રીલંકાએ બચાવ કામગીરી હાથ ધરી
શ્રીલંકાના વિદેશ પ્રધાન વિજિતા હેરાથે સંસદમાં જણાવ્યું હતું કે, શ્રીલંકાના નૌકાદળ અને કોસ્ટ ગાર્ડને સવારે 5:08 વાગ્યે દક્ષિણ દિશામાં આવેલ બંદરો ધરાવતા જિલ્લા ગાલેથી લગભગ 40 નોટિકલ માઇલ દૂર “આઇરિસ દેના” નામના જહાજના ડૂબવાનો અહેવાલ મળ્યો હતો. હેરાથે જણાવ્યું હતું કે, શ્રીલંકાના નૌકાદળ અને વાયુસેનાએ સંયુક્ત બચાવ અવે રાહત કામગીરી હાથ ધરી હતી.
Published On - 2:10 pm, Thu, 5 March 26