ચીનને પાઠ ભણાવશે એરફોર્સ, અરુણાચલ, આસામમાં સેનાનો યુદ્ધ અભ્યાસ, ચીનાઓનો પરસેવો છૂટશે
ભારતીય વાયુસેના આવતા મહિને ઉત્તર-પૂર્વના રાજ્યોમાં સૈન્ય અભ્યાસ કરવા જઈ રહી છે. આ દરમિયાન વાયુસેનાના ઘણા હેવી-વોર એરક્રાફ્ટ જોવા મળશે. એટલું જ નહીં, સૈનિકો એરફોર્સના અત્યાધુનિક હથિયારો અને ડ્રોન સાથે યુદ્ધ અભ્યાસ કરશે.
ચીન સાથેના તણાવ વચ્ચે ભારતીય વાયુસેના અરુણાચલ પ્રદેશ, આસામ અને અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં મોટા પાયે યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. પૂર્વી લદ્દાખમાં ચીન સાથે 32 મહિનાથી તણાવ છે, જે અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયો છે, જ્યાં તાજેતરમાં ભારતીય અને ચીની સેના વચ્ચે અથડામણ જોવા મળી હતી. ખાસ વાત એ છે કે નોર્થ ઈસ્ટમાં યોજાનારા યુદ્ધ અભ્યાસ એક કમાન્ડ લેવલનો યુદ્ધ અભ્યાસ હશે. આ યુદ્ધ અભ્યાસમાં ફાઈટર જેટ, હેલિકોપ્ટર અને અન્ય એરક્રાફ્ટની સાથે ડ્રોનને પણ એક્સરસાઇઝમાં સામેલ કરવામાં આવશે.
ઈસ્ટર્ન એર કમાન્ડનું મુખ્યાલય શિલોંગમાં છે, જેના જવાનો 1થી 5 ફેબ્રુઆરીની તૈયારીઓમાં જોડાયેલા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુદ્ધ અભ્યાસ દરમિયાન પૂર્વ સેક્ટરમાં રાફેલ અને સુખોઈ 30 એમકેઆઈ જેવા ફાઈટર પ્લેન પણ જોવા મળશે. આ ફાઇટર એરક્રાફ્ટને હાસિમરા, તેજપુર અને ચબુઆ એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. અરુણાચલના તવાંગમાં ભારત અને ચીનની સેના વચ્ચેની થયેલી અથડામણ બાદ વાયુસેનાએ બે દિવસ યુદ્ધ અભ્યાસ કર્યો હતો.
એરફોર્સના યુદ્ધ અભ્યાસમાં જોવા મળશે સુપર હર્ક્યુલસ
જો કે આવતા મહિને યોજાનારા એયરફોર્સના યુદ્ધ અભ્યાસ ઘણી રીતે મહત્વનો છે. અહીં મોટા પાયે યુદ્ધ અભ્યાસ થશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન C-130J સુપર હરક્યુલસ એરક્રાફ્ટ, ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર અને અપાચે હેલિકોપ્ટર પણ જોવા મળશે. પૂર્વ લદ્દાખમાં ચીને સતત ત્રીજા શિયાળામાં સરહદ પર 50,000થી વધુ સૈનિકો અને ભારે શસ્ત્રો તૈનાત કરવાનું ચાલુ રાખ્યું છે અને અત્યાર સુધી ડેપસાંગ અને ડેમચોક વિસ્તારોમાંથી સૈનિકો પાછા ખેંચવાની ચર્ચા કરવાનો ઇનકાર કર્યો છે.
ચીને LAC નજીક પણ સૈનિકો ગોઠવ્યા
પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં LAC 1,346 કિમી વિસ્તારમાં પણ સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ચીને અહીં બે સંયુક્ત આર્મ્સ બ્રિગેડ તૈનાત કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દરેક બ્રિગેડમાં ટેન્ક સાથે 4500 સૈનિકો તૈનાત છે. અહીં ચીની સેનાએ તોપખાના અને અન્ય ભારે હથિયારો પણ તૈનાત કર્યા છે.
શું વૈશ્વિક બજારમાં ભારત ચીનનું સ્થાન લેશે?
ભારત અને ચીનને વૈશ્વિક અર્થતંત્રમાં પ્રતિસ્પર્ધી તરીકે જોવામાં આવે છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ભારત ટૂંક સમયમાં ચીનનું સ્થાન લેશે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજનને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આ મહત્વની વાત કહી હતી. ભારત વિશે પૂછવામાં આવતા રઘુરામ રાજને કહ્યું- ભારત ચીનનું સ્થાન લેશે તેવી દલીલ અપરિપક્વ છે. તેનું કારણ એ છે કે ચીનની સરખામણીમાં ભારતની અર્થવ્યવસ્થા હજી ઘણી નાની છે. જો કે સમયની સાથે પરિસ્થિતિ બદલાઈ શકે છે. ભારત પહેલાથી જ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તે તેની વૃદ્ધિ ચાલુ રાખી શકે છે.