અફઘાનિસ્તાનની (Afghanistan)રાજધાની કાબુલમાં (Kabul) ગુરુદ્વારા (Gurdwara)કર્તે પરવાનના મુખ્ય દરવાજા પાસે બોમ્બ વિસ્ફોટ (Bomb blast) થયો છે. જોકે, સારી વાત એ છે કે શીખ અને હિન્દુ સમુદાયના સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. વર્લ્ડ ફોરમ ઓફ ઈન્ડિયાના પ્રમુખ પુનીત સિંહ ચંડોકે આ માહિતી આપી છે. આ પહેલીવાર નથી જ્યારે કર્તે પરવાન ગુરુદ્વારા પર હુમલો થયો હોય. આ પહેલા ગયા અઠવાડિયે પણ અહીં હુમલો થયો હતો, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર વતી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું અને હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી.
આતંકવાદી જૂથ ઇસ્લામિક સ્ટેટે ગુરુદ્વારા પરના હુમલાની જવાબદારી સ્વીકારી હતી અને તેને પ્રોફેટના સમર્થનમાં કૃત્ય ગણાવ્યું હતું. આ હુમલામાં શીખ સમુદાયના સભ્ય સહિત બે લોકો માર્યા ગયા હતા. આતંકવાદી જૂથની વેબસાઇટ અમાક પર પોસ્ટ કરાયેલા નિવેદનમાં, ઇસ્લામિક સ્ટેટ-સંલગ્ન ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન પ્રાંત (ISKP) એ જણાવ્યું હતું કે આ હુમલો હિંદુઓ, શીખો અને અધર્મી લોકો વિરુદ્ધ હતો જેમણે અલ્લાહના મેસેન્જરનું અપમાન કરવામાં સહયોગ કર્યો હતો.
સુરક્ષાકર્મીઓએ મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો
આતંકવાદી જૂથે કહ્યું કે તેના એક લડવૈયાએ સુરક્ષા ગાર્ડની હત્યા કર્યા પછી હિંદુઓ અને શીખોના ‘મંદિર’માં પ્રવેશ કર્યો અને તેમની મશીનગનથી ફાયરિંગ કર્યું અને અંદરના શ્રદ્ધાળુઓ પર ગ્રેનેડ ફેંક્યા. જોકે, અફઘાન સુરક્ષા કર્મચારીઓએ વિસ્ફોટકો વહન કરતી ટ્રકને ગુરુદ્વારા પરિસરમાં પ્રવેશતા અટકાવીને મોટા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. અફઘાનિસ્તાનમાં ગુરુદ્વારા પર આ બીજો લક્ષિત હુમલો હતો. તે જ સમયે, તાલિબાન સુરક્ષા દળો દ્વારા ત્રણ હુમલાખોરોને માર્યા ગયા હતા.
સંયુક્ત રાષ્ટ્રે પણ આ હુમલાની આકરી ટીકા કરી હતી
એક વીડિયો સંદેશમાં, ISKPએ ભાજપના બે ભૂતપૂર્વ કાર્યકર્તાઓ દ્વારા પ્રોફેટ પર કરવામાં આવેલી ટિપ્પણીનો બદલો લેવા હિંદુઓ પર હુમલો કરવાની ચેતવણી આપી હતી. થોડા દિવસો બાદ ગુરુદ્વારા પર આ હુમલો થયો. ભૂતકાળમાં પણ ISKP અફઘાનિસ્તાનમાં હિંદુઓ, શીખો અને શિયા સમુદાયના ધાર્મિક સ્થળો પર હુમલાની જવાબદારી સ્વીકારી ચૂક્યું છે. દરમિયાન, કાબુલમાં ગુરુદ્વારા પર થયેલા હુમલાની અફઘાન નેતાઓ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી.
Published On - 4:57 pm, Wed, 27 July 22