જિમમાં કલાકો સુધી પરસેવો પાડ્યા પછી સ્નાયુઓ અકળાઈ જાય છે ? બજારના કેમિકલવાળા ડ્રિંક્સને બદલે આ નેચરલ રીતો આપશે કાયમી આરામ !
હેવી એક્સરસાઇઝ પછી સ્નાયુઓને આરામ આપવો ખૂબ જ જરૂરી છે. આયુર્વેદિક ડોક્ટરોના મતે, આર્ટિફિશિયલ એનર્જી સપ્લિમેન્ટ્સ ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે.

આજના સમયમાં લોકો પોતાની ફિટનેસને લઈને ખૂબ જ જાગૃત થઈ ગયા છે. વજન ઘટાડવા અને બોડી બનાવવા માટે યુવાનો જિમ અને યોગનો સહારો લઈ રહ્યા છે. પરંતુ જિમમાં ભારે કસરત (વર્કઆઉટ) કર્યા પછી મોટાભાગના લોકો એક મોટી ભૂલ કરે છે. તેઓ સ્નાયુઓના દુખાવા અને થાકથી તાત્કાલિક રાહત મેળવવા માટે બજારમાં મળતા મોંઘા એનર્જી ડ્રિંક્સ અને ટોનિક ગટગટાવી જાય છે.
આયુર્વેદ અનુસાર, આવી ક્ષણિક રાહત આપતી વસ્તુઓ લાંબા ગાળે શરીરને નુકસાન કરે છે. આ આર્ટિફિશિયલ ડ્રિંક્સમાં અતિશય ખાંડ, કેમિકલ અને આર્ટિફિશિયલ કલર હોય છે. તેના બદલે જો ઘરગથ્થુ અને આયુર્વેદિક ડ્રિંક્સ પીવામાં આવે તો સ્નાયુઓ કુદરતી રીતે મજબૂત બને છે.
કસરત પછી કેમ જરૂરી છે સાચી રિકવરી?
આયુર્વેદિકના જણાવ્યા અનુસાર, જ્યારે આપણે કોઈ પણ પ્રકારની ભારે કસરત કરીએ છીએ, ત્યારે શરીરમાં ‘પિત્ત’ વધી જાય છે. આ પિત્ત વધવાના કારણે જ કસરત પછી સ્નાયુઓમાં જકડન, અતિશય થાક, સાંધાનો દુખાવો કે નબળાઈ અનુભવાય છે. કેમિકલવાળા ડ્રિંક્સ પચવામાં ભારે હોય છે, જ્યારે નેચરલ ડ્રિંક્સ શરીરને તરત હાઇડ્રેટ કરીને પાચનતંત્ર સુધારે છે અને સ્નાયુઓની અંદરની ઈજાને ઝડપથી રૂઝવે છે.
સ્નાયુઓને આરામ આપતા 5 શક્તિશાળી નેચરલ ડ્રિંક્સ:
- નાળિયેર પાણી (કોકોનટ વોટર): આ એક કુદરતી ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંક છે. કસરત દરમિયાન પરસેવા દ્વારા વહી ગયેલા મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા જરૂરી તત્વોની ઉણપને આ પાણી તરત પૂરી કરે છે. તે શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે.
- હળદરવાળું દૂધ (ગોલ્ડન મિલ્ક): હળદરમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી (સોજો ઉતારવાના) ગુણો હોય છે. દૂધમાં ચપટી હળદર ઉમેરીને પીવાથી કસરત પછી સ્નાયુઓમાં થતો દુખાવો ઓછો થાય છે અને ટીશ્યુ રિપેર થાય છે.
- આમળાનો રસ: આમળા વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે. તે શરીરના ઓક્સિડેટીવ સ્ટ્રેસ (આંતરિક તણાવ) ને ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
- અશ્વગંધા ડ્રિંક: અશ્વગંધા આયુર્વેદનું સૌથી શક્તિશાળી ટોનિક છે. તેને નવશેકા દૂધ કે પાણી સાથે લેવાથી સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર ઘટે છે. જે એથ્લેટ્સના સ્નાયુઓ ધીમે-ધીમે રિકવર થતા હોય, તેમના માટે આ ઉત્તમ છે.
- આદુ અને લીંબુ પાણી: આદુ શરીરમાં લોહીનું પરિભ્રમણ (બ્લડ ફ્લો) વધારે છે, જ્યારે લીંબુ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે.
ખાંડવાળા એનર્જી ડ્રિંક્સથી કેમ બચવું?
બજારના એનર્જી ડ્રિંક્સ પીવાથી શરીરને તરત જ એનર્જી મળી ગઈ હોવાનો ભાસ થાય છે, પરંતુ તે માત્ર થોડી મિનિટો પૂરતો જ હોય છે. ત્યારબાદ તે પાચનક્રિયા પર નકારાત્મક અસર કરે છે. આયુર્વેદ હંમેશા તાજા રસ અને ઘરે બનાવેલા પીણાંનો આગ્રહ રાખે છે.
તંદુરસ્ત રિકવરી માટે માત્ર યોગ્ય ખાનપાન જ નહીં, પરંતુ પૂરતી ઊંઘ, માનસિક તણાવથી મુક્તિ, હળવું સ્ટ્રેચિંગ, યોગ અને તેલ માલિશ (અભ્યંગ) પણ એટલા જ મહત્વના ભાગ ભજવે છે.
Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.
