World Disability Day : કંઇક કરવાની ધગશ હોય તો ગમે તેટલી મુશ્કેલી હોય રસ્તો સરળ બની જાય છે. આજે વિકલાંગ દિવસ છે ત્યારે વાત કરીએ (RAJKOT)રાજકોટમાં રહેતા (VIPUL)વિપુલ ભાઈ બોરકરવાડિયાની. 80 ટકા વિકલાંગતા ધરાવતા વિપુલ ભાઈએ એવું કાર્ય સિદ્ધ કર્યું છેકે જે ભલભલા સ્વસ્થ યુવાનો કરતા પણ વિચાર કરે છે. તો વિપુલભાઇએ એવું તે શું કાર્ય કર્યું છે તે જાણવા આ વાંચો અહેવાલ.
મન હોય તો માળવે જવાય ઉક્તિને કરી સિદ્ધ
મન હોય તો માળવે જવાય આ વાત મુળ લાઠી તાલુકાના ચાવંડ ગામના અને રાજકોટ સ્થાયી થયેલા વિપુલભાઇ દામજીભાઇ બોરકરવાડીયા (ઉ.વ.૩૪) એ સિધ્ધ કરી બતાવી છે. ૨ વર્ષની ઉમરે પોલીયોના કારણે બંને પગે ૮૦ ટકા વિકલાંગતા આવી ગઇ. પરંતુ હિંમત હાર્યા નથી. નોર્મલ વ્યકિતને પણ હંફાવે તેવી તેમની પ્રવૃત્તિઓ છે.
વિપુલભાઇ અત્યાર સુધીમાં 6 વખત ગિરનાર ચડી ચૂક્યા છે
જુનાગઢના ગીરનાર પર્વતનું (Girnar mountain) માત્ર ૧૫ કલાકમાં ચઢાણ અને ઉતાર તેઓએ સફળરીતે પુર્ણ કરી બતાવ્યુ. જોકે તેમનો ઉત્સાહ વધારવા મિત્રો, મોટાભાઇ અને સગા સ્નેહી મળી ૩૫-૪૦ લોકોની ટીમ સતત સાથે રહી હતી. વિપુલભાઇ કહે છે કે હું છેલ્લા ૬ વર્ષથી ગિરનાર આરોહણ અવરોહણ કરું છે. મારા જેવા અન્ય વિકલાંગોને તેમજ નોર્મલ વ્યકિતઓને પ્રેરણા મળે તે માટે હું આ પ્રવૃત્તિ કરૂ છું. બે વર્ષનો હતો ત્યારથી પોલીયોમાં બન્ને પગ ગુમાવેલ છે. પરંતુ મેં વિચાર્યુ કે પગ નથી તો શું થયું? હાથ તો સરસ છે. બસ એ રીતે એમજ કહોને કે હું મારી વિકલાંગતા સાવ ભુલીને નોર્મલ વ્યકિતની લાઇફ જીવી રહ્યો છું.
વિપુલ બોકરવાડીયા વ્યવસાયે વેબસાઇટ ડિઝાઇનર છે. પોતાનો પ્રાઇવેટ બિઝનેસ ધરાવે છે. વિકલાંગતાને સાવ ભૂલીને ગમે તે પ્રવૃત્તિઓ માટે તેઓ હંમેશા તત્પર રહે છે. વિપુલ બોકરવાડિયાને 2018માં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ મિત્રો અને સગાસ્નેહીઓના ગ્રુપ સાથે ડિસેમ્બર મહિનામાં સાતમી વખત ગિરનાર ચડવા જશે.
ઉલ્લેખનીય છે કે આજે વિકલાંગ દિવસ છે ત્યારે વિપુલ ભાઈની કંઈક કરવાની ધગશ અને તેમની પ્રવૃતિઓ દરેક વિકલાંગને એક નવી પ્રેરણા આપશે અને જીવનમાં આગળ વધવાનું જોમ પણ.
Published On - 3:29 pm, Fri, 3 December 21