
ગુજરાત રાજ્યના કુલ 15 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે અને ઉભા પાકને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ઉનાળામાં ખાબકેલા વરસાદે ખેડૂતોના હૈયે પાડ્યો ચિંતાનો પડછાયો
ઉનાળાની કાળઝાળ ગરમીમાં જ્યારે ધરતી તરસતી હોય અને ખેડૂતો વાવણીની તૈયારીઓ કરતા હોય, ત્યારે અચાનક આભમાંથી વરસતો વરસાદ કોઈ આશીર્વાદ નથી, પણ આફત બનીને આવ્યો છે. કુદરતનો આ અણધાર્યો મિજાજ ગુજરાતના ખેડૂતો માટે કોઈ મોટા આઘાતથી ઓછો નથી. રાજ્યના 15 તાલુકાઓમાં વરસેલા આ કમોસમી વરસાદે ખેડૂતોની રાતની ઊંઘ ઉડાડી દીધી
આ માત્ર વરસાદ નથી પણ ખેડૂતોની આખી મોસમની મહેનત પર પાણી ફરી વળવાની ઘટના છે. જે પાક તૈયાર થઈને લણણી માટે તૈયાર હતો, તેને આ વરસાદે અચાનક જ જોખમમાં મૂકી દીધો છે. ખેતરમાં ઉભા પાકને થયેલું નુકસાન જોઈને ખેડૂતોના હૈયા કકળી ઉઠ્યા છે.
દાહોદ અને મહીસાગર: અહીં તો જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ફતેપુરામાં એક ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરો જળબંબાકાર થઈ ગયા. ઝાલોદ, સુખસર, સંતરામપુર, લીમડી અને ધારી જેવા વિસ્તારોમાં વરસાદના કારણે પાકને ઘણું નુકસાન થયું હોવાની આશંકા છે.
કચ્છ જેવો સૂકો પ્રદેશ ત્યાં પણ ઉનાળામાં વરસાદની કોઈ અપેક્ષા નહોતી. ભુજ અને અંજારના હીરાપર, મોડસર અને મોખાણા જેવા વિસ્તારોમાં જ્યારે પવનના સુસવાટા સાથે વરસાદ અને કરા પડ્યા, ત્યારે લોકો સ્તબ્ધ થઈ ગયા. એક બાજુ ઠંડક પ્રસરી તો બીજી બાજુ ખેડૂતોના મોઢેથી કોળિયો છીનવાઈ ગયો.
જ્યારે કુદરત રૂઠે ત્યારે ખેડૂત બિચારો શું કરે? મહેનત ખેડૂતે કરી પણ ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું. આજે ખેડૂતોના ચહેરા પર ચિંતાની લકીરો સ્પષ્ટ દેખાય છે. પાકનો નાશ થવો એ માત્ર આર્થિક નુકસાન નથી, પણ વર્ષભરના સપનાઓનું તૂટી જવું છે.
ગુજરાત પર સૂર્યનો પ્રકોપ, આખું રાજ્ય બન્યુ અગનભઠ્ઠી, 5 દિવસ અમદાવાદમાં યલો એલર્ટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો