વલસાડના અંતરિયાળ ગામોમાં ફરીથી એક વાર દીપડાએ દેખા દીધી છે . વલસાડ જિલ્લાના ડુંમલાવ ગામમાં છેલ્લા થોડા દિવસથી દીપડો જોવા મળતો હતો. આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. આથી વન વિભાગે દીપડાને પકડી લેવા પાંજરા ગોઠવ્યા હતા. જોકે વન વિભાગે પાંજરા ગોઠવ્યા છતાં દીપડાને પકડવામાં સફળતા મળી નથી.
જિલ્લાના વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા હતા તેમ છતાં દીપડો પકડાયો ન હતો. દીપડો પાંજરાની નજીક આવ્યો હતો, પરંતુ તે પાંજરાની આસપાસ આંટાફેરા મારીને જાણે પાંજરાનું અવલોકન કરતો હોય તેમ પાંજરાની અંદર ગયો નહોતો અને વન વિભાગને દીપડાને પકડવામાં નિષ્ફળતા હાથ લાગી હતી. આથી ગ્રામજનો હજી ભયમાં જીવી રહ્યા છે. જોકે વન વિભાગે દીપડાનું લોકેશન ચકાસીને ફરી એક વાર પાંજરું અન્ય જગ્યાએ ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. આ ખૂંખાર દીપડો ગામમાંથી દીપડાનું મારણ કરીને ભાગી ગયો હતો. થોડા દિવસ અગાઉ વલસાડના પારડીના ગામમાં શિકારની લાલચે પાંજરામાં આવી ગયેલો દીપડો પાંજરામાં પૂરવામાં આવ્યો હતો.
ગીરના જંગલ વિસ્તારો તેમજ ગીરમાં આવેલા નેસમાં પણ વારંવાર દીપડો જોવા મળે છે અને તે માણસો તેમજ પશુધન ઉપર હુમલા કરે છે. ક્યારેક સીમમાં કે ગામમાથી કોઈ વ્યક્તિનો શિકાર કરી જાય છે. નવેમ્બર માસની શરૂઆતમાં ગીર સોમનાથ જિલ્લામાં આવી જ ઘટના સામે આવે છે. અહીનાં વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાનો ત્રાસ વધતો જાય છે ત્યારે થોડા દિવસ અગાઉ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વિવિધ સ્થળે દીપડો ઘૂસી જવાના બે બનાવ બન્યા હતા. વેરાવળ જીઆઈડીસીમાં આવેલા શૈલગંગા ફિસ એક્સપોર્ટ કંપનીમાં દીપડો ઘુસ્યો હતો જેના પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ ઘટના બાદ કંપનીના માલિકે વનવિભાગને તુરંત જાણ કરવામાં આવી હતી. જેના પગલે વનવિભાગની રેસ્ક્યૂ ટીમે 1 કલાકથી વધુ સમયની મહેનત કરી દીપડાને બેભાન કરીને પકડ્યો હતો અને દીપડાને સીમાર એનિમલ કેર સેન્ટર મોકલી દેવામાં આવ્યો હતો.
Published On - 12:43 pm, Fri, 2 December 22