રાજ્યના(State ) કોઈપણ ખૂણામાં ઓછા ખર્ચે અને સલામત (Safe ) રીતે મોકલી શકાય એ આશાએ સરકારે રાજ્યના તમામ એસટી ડેપોમાં પાર્સલની (Parcel ) સુવિધા આપી છે. પરંતુ વલસાડ જિલ્લામાં એસટી ડેપો પરિસરમાં કાર્યરત પાર્સલના સંચાલકો લોકોને સુવિધા આપવામાં બેદરકાર બન્યા છે. વલસાડ જિલ્લાના ધરમપુર એસટી ડેપોમાં કાર્યરત પાર્સલની કચેરી છેલ્લા ચાર દિવસથી બંધ છે. પાર્સલ કચેરીના દરવાજા પર લખેલ મોબાઈલ નંબર પર ફોન કરે તો વલસાડ એસટી ડેપોમાં કાર્યરત પાર્સલ કચેરીના સંચાલક ફોન ઉઠાવે છે અને માલ-સામાન પાર્સલ કરવા માટે વલસાડ આવવા જણાવે છે.
ધરમપુરથી વલસાડ લગભગ ૩૦ કિલોમીટર છે હાલ કેરીની સીઝન હોય લોકો વડોદરા, ગાંધીનગર, અમદાવાદ કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં રહેતા પોતાના સ્વજનોને કેરી મોકલતા હોય છે પરંતુ સીઝનમાં જ ધરમપુર ડેપોમાં પાર્સલની સુવિધા બંધ કરી દેવાતા લોકોએ પાર્સલ કરવા માટે વલસાડ ડેપો સુધી મજબૂરીમાં લંબાવવા પડે છે અને ધરમપુરથી લંબાઈને વલસાડ ડેપોમાં કાર્યરત પાર્સલ કચેરીથી પોતાના સ્વજનને માલ-સામાન પાર્સલ કરે છે. પરંતુ અહીં પણ પાર્સલ સંચાલક અને સ્ટાફ લોકો સાથે તોછડું વર્તન કરતા હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે.
ગાંધીનગર મોકલવામાં આવેલ કેરીનો પાર્સલ પાંચ દિવસ બાદ પણ પહોંચતો ન હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે. પાર્સલ સંચાલકને તેમનું પાર્સલ કેમ ન પહોંચ્યું એમ પૂંછવા જાય ત્યારે તેમને સરખો જવાબ મળતો નથી. પાર્સલ માં મોકલવામાં આવતા માલ સમાન પેટે કેટલી રકમ વસુલવાની હોય છે તેની ચકાસણી કરવામાં આવે તો તેમાં પણ પ્રજા પાસે વધારે નાણાં વસુલવામાં આવી રહ્યાની લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે. ખરેખર સંબંધીત તંત્રે પોતાના ફરજના ભાગરૂપે યોગ્ય ચકાસણી કરી લોકોને યોગ્ય અને પૂરતી સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
લોકોની માંગ છે કે આ મુદ્દે કાયમી નિરાકરણ લાવવું જરૂરી છે, કારણ કે પાર્સલની કચેરી છેલ્લા ચાર દિવસથી બંધ રહે છે. અને જયારે ચાલુ રહે છે ત્યારે પણ યોગ્ય રીતે કામ કરવામાં આવતું નહીં હોવાનું સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. તેવામાં જોવાનું એ રહે છે કે તંત્ર હવે આ મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે.