Valsad: લાંબા સમયથી વલસાડ એસટી ડેપોને લોકાર્પણની રાહ, 3 વર્ષ બાદ પણ લોકાર્પણ માટે નથી મળ્યો સમય
ડેપોની (Depo) કામગીરી યોગ્ય રીતે પૂર્ણ ન કરવામાં આવતા મુસાફરોને પતરાના શેડ નીચે બેસવું પડી રહ્યું છે. જોકે ત્યાંથી જ બસના સ્ટાફે કંટ્રોલ રૂમ, ઈન્ક્વાયરી અને એનાઉન્સમેન્ટની કામગીરી કરવી પડી રહી છે.
વલસાડનું(Valsad ) એસટી બસ સ્ટેન્ડ એવું છે કે જે છેલ્લા અઢી વર્ષથી તૈયાર હતું છતાં તેના લોકાર્પણ(Inauguration ) માટેનો સમય તંત્રને મળ્યો નથી. પરિણામ એ આવ્યું કે લોકાર્પણ વિધિ કાર્ય વિના જ આ બસ સ્ટેન્ડ પર બસોનુ સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે હજી પણ અહીં મુસાફરો માટે બધી જ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી. જેને કારણે મુસાફરોને થોડી ઘણી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ડેપોની કામગીરી યોગ્ય રીતે પૂર્ણ ન કરવામાં આવતા મુસાફરોને પતરાના શેડ નીચે બેસવું પડી રહ્યું છે. જોકે ત્યાંથી જ બસના સ્ટાફે કંટ્રોલ રૂમ, ઈન્ક્વાયરી અને એનાઉન્સમેન્ટની કામગીરી કરવી પડી રહી છે.
વસલાડ એસટી વિભાગ દ્વારા સ્વામી વિવેકાનંદ સર્કલ પાસે અઢી વર્ષ પહેલા એસટી ડેપો બનાવવામાં આવ્યો હતો. અંદાજે 2 કરોડના ખર્ચે આ બસે ડેપો બનાવવામાં આવ્યો હતો. અહીં રોજની 6 ડેપોની બસોનુ સંચાલન કરવામાં આવે છે. એટલું જ નહીં રોજિંદા 8 હજાર જેટલા મુસાફરો અહીંથી અવરજવર કરે છે. જોકે નવાઈની વાત તો એ છે કે બસ ડેપોના લોકાર્પણ વગર જ બસનું સંચાલન શરૂ કરી દેવામાં આવ્યું છે.
વધુ મળતી માહિતી પ્રમાણે અહીંથી 478 જેટલી ડેઇલી ટ્રીપ થાય છે, જેમાં 45 ટકા એક્સપ્રેસ ટ્રીપો દોડે છે, જયારે 55 ટકા લોકલ ટ્રીપ હોય છે. આ ડેપોની સરેરાશ દૈનિક આવક અંદાજે 6 લાક જેટલી છે. 2017માં જયારે આ ડેપો માટે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાઈ ત્યારે તેમાં 3 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું, જોકે નવા ડેપોના બાંધકામ સમયે મોરબી એસટી ડેપોનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેથી વલસાડ ડેપોની ડિઝાઇન ચેન્જ કરવામાં 1 કરોડ વધુનો ખર્ચ થઇ ગયો હતો.
બસ ડેપોના બાંધકામમાં પહેલા પ્લેટફોર્મ સંકુલમાં આરસીસી સ્લેબ બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે નગર નિગમના આર્કિટેક્ટે આ સ્લેબની ડિઝાઇન ધ્યાનમાં લીધી ન હતી. નવી ડિઝાઇનમાં પીલરોના બાંધકામનો ખર્ચ વધી જતા નવી મંજૂરીની જરૂર પડી હતી. જેને લઈને લાંબો સમય નીકળી ગયો હતો. અધિકારીઓ પણ બદલાઈ ગયા હતા, જેથી ડેપોની વધી ગયેલી કોસ્ટની મંજૂરી માટે પણ ઘણો સમય નીકળી ગયો હતો.
જોકે હવે વલસાડ એસટી વિભાગના બાંધકામ વિભાગ દ્વારા નવા એસટી ડેપોના લોકાર્પણ માટે સીએમને પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં લોકાર્પણની તારીખ નક્કી કરવા જણાવવામાં આવ્યું છે. તારીખ નક્કી કરાયા બાદ જે થોડું કામ બાકી છે તે કરવામાં સરળતા રહેશે તેવું આયોજન કરવામાં આવ્યું છે અને નવા ડેપોમાં જે થોડી ઘણી ક્ષતિઓ છે તેને પણ તેટલા સમયમાં સુધારી લેવામાં આવશે. તેવું વલસાડ એસટી વિભાગના નિયામક વી.એચ. શર્માએ જણાવ્યું છે.