વલસાડને આકાશી આફતે ઘેરી, 40 ઈંચ વરસાદથી ચારેકોર વિનાશ જ વિનાશ, 378 રસ્તા બંધ, ફસાયેલા લોકોને કરાશે એરલિફ્ટ, જુઓ પૂરના દ્રશ્યો

40 ઇંચ વરસાદમાં વલસાડ ડુબ્યુ છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વળ્યા ઔરંગા નદીના પાણી. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે.તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડ પર મહાસંકટ ઘેરાયુ છે. દમણ ગંગા ડેમમાં 2.65 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. 2 લાખ ક્યૂસેક પાણી છોડાતા એલર્ટ અપાયુ છે.

વલસાડને આકાશી આફતે ઘેરી, 40 ઈંચ વરસાદથી ચારેકોર વિનાશ જ વિનાશ, 378 રસ્તા બંધ, ફસાયેલા લોકોને કરાશે એરલિફ્ટ, જુઓ પૂરના દ્રશ્યો
| Edited By: | Updated on: Jul 23, 2026 | 9:38 AM

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં મેઘરાજાએ અભૂતપૂર્વ કહેર વરસાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઉમરગામ તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ નોંધાતા સમગ્ર તાલુકો જાણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે ઉમરગામ તરફ જતા તમામ મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે તાલુકો જિલ્લા કેન્દ્રથી લગભગ સંપર્કવિહોણો બન્યો છે. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાતા જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે.

વલસાડ શહેર અને ગ્રામ્યમાં જળબંબાકાર, નદીઓમાં ઘોડાપૂર

અતિભારે વરસાદના કારણે માત્ર ઉમરગામ જ નહીં, પરંતુ સમગ્ર વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાની ઔરંગા સહિતની નદીઓમાં ઘોડાપૂર આવતાં અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વાપી અને વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોના ઘરો, દુકાનો અને વાહનો પાણીમાં ડૂબી ગયા છે.

ઔરંગા નદીમાં ઘોડાપૂરથી અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા

ઉપરવાસમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં રાત્રિ દરમિયાન ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. છીપવાડ, બરૂડીયાવાડ, વલસાડ પારડી, તરીયાવાડ, હનુમાનભાગડા અને ભદેલી સહિતના વિસ્તારોમાં નદીના પાણી ઘૂસી જતાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. સ્થિતિ સતત ગંભીર બનતી જતાં તંત્ર પણ હાઈ એલર્ટ પર છે.

મધુબન ડેમમાંથી 2 લાખ ક્યૂસેક પાણી છોડાયું, કાંઠાના ગામોને એલર્ટ

ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે મધુબન (દમણગંગા) ડેમનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. ડેમમાં આશરે 2.65 લાખ ક્યૂસેક પાણીની આવક વચ્ચે જળસ્તર નિયંત્રિત રાખવા માટે 2 લાખ ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું છે. તેના પગલે નદી કાંઠાના ગામોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી છે.

378 રસ્તા બંધ, નેશનલ હાઇવે-48 પર ટ્રાફિક ઠપ

અતિભારે વરસાદને કારણે જિલ્લામાં 378 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે, જેના કારણે વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. નેશનલ હાઇવે-48 પર પારડી, મોતીવાડા અને ઉદવાડા નજીક પાણી ભરાઈ જતાં હાઇવેનો એક ભાગ બંધ કરવો પડ્યો છે. ભારે ટ્રાફિક જામ સર્જાતા હજારો વાહનો કલાકો સુધી અટવાઈ ગયા હતા.

હજુ પણ વિનાશક પૂરનો ખતરો યથાવત

હવામાન વિભાગની આગાહી મુજબ ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ હોવાથી વલસાડ જિલ્લામાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. નદીઓમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી વલસાડ અને વાપી સહિતના વિસ્તારોમાં વિનાશક પૂરનો ખતરો હજુ પણ યથાવત છે. જિલ્લા પ્રશાસન, NDRF અને સ્થાનિક તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- 23 જુલાઈના મહત્વના સમાચાર : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વલસાડ પર મહાસંકટ, દમણ ગંગા ડેમમાં 2.65 લાખ ક્યૂસેક પાણીની આવક

Published On - 9:17 am, Thu, 23 July 26

Follow Us