વલસાડના ધરમપુરને PMએ આપી વિકાસની ભેટ, 200 કરોડના ખર્ચે તૈયાર થયેલી શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલનું કર્યું લોકાર્પણ
Valsad Hospital Inauguration: વલસાડના ધરમપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 200 કરોડના ખર્ચે તૈયાર થયેલી શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ. PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ હોસ્પિટલનું લોકાર્પણ કર્યુ, આ પ્રસંગે PM મોદીએ શ્રીમદ્દ રાજચંદ્ર અને મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા.
વલસાડને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)એ વિકાસની ભેટ આપી. વલસાડના ધરમપુર (Dharampur)માં PM મોદીએ 200 કરોડના ખર્ચે તૈયાર થયેલી આધુનિક શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ (Srimad Rajchandra Hospital)નું લોકાર્પણ કર્યુ. આ હોસ્પિટલ શ્રીમદ રાજચંદ્ર સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. અહીં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સુવિધાસભર સારવાર મળી રહે તે હેતુથી તેનું નિર્માણ કરવામાં આવ્યુ છે. PM મોદીએ આ હોસ્પિટલનુ લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના નાણાં અને ઊર્જામંત્રી કનુુભાઈ દેસાઈ, નર્મદા કલ્પસર અને પાણી પૂરવઠા નંત્રી જીતુભાઈ ચૌધરી અને આદિજાતિ અન્ન અને નાગરિક પૂરવઠામંત્રી નરેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.
ધરમપુરને PMની વિકાસ ભેટ
આ લોકાર્પણ પ્રસંગે PM નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે શ્રીમદ રાજચંદ્ર મિશન ગુજરાતમાં ગ્રામીણ આરોગ્યના ક્ષેત્રે પ્રશંસનિય કામગીરી કરી રહ્યુ છે. ગરીબોની સેવાની પ્રતિબદ્ધતા આ નવી હોસ્પિટલથી મજબુત થશે. આ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ગ્રામીણ ક્ષેત્રે આધુનિક સુવિધાઓ પુરી પાડશે. દરેક માટે ઉત્તમ સારવારને વધુ સુલભ બનાવવામાં આવશે. જે આઝાદીના અમૃત અવસરે સ્વસ્થ ભારત માટે દેશના વિઝનને વધુ શક્તિ પ્રદાન કરશે અને આરોગ્યના ક્ષેત્રે સૌના પ્રયાસની ભાવનાને વધુ સશક્ત કરશે.
મહાત્મા ગાંધી હતા શ્રીમદ રાજચંદ્રથી પ્રેરિત
PM મોદીએ જણાવ્યુ કે આઝાદીના અમૃત મહોત્સવમાં દેશ તેમના એ સંતાનોને પણ યાદ કરી રહ્યો છે જેમણે ભારતને ગુલામીમાંથી બહાર લાવવા માટે પ્રયત્નો કર્યા. શ્રીંમદ રાજચંદ્ર વિશે PM મોદીએ જણાવ્યુ કે તેઓ આવા જ એક સંત પુરુષ, દીર્ઘ દૃષ્ટાવાન સંત હતા. તેમનુ વિરાટ યોગદાન આ દેશના ઈતિહાસમાં અંકિત છે.
આ તકે તેમણે જણાવ્યુ કે આપણુ એ કમનસીબ રહ્યુ છે કે ભારતના જ્ઞાન અને ભારતની અસલી શક્તિનો દેશ અને દુનિયાને પરિચય કરાવનારા ઓઝસ્વી નેતૃત્વને આપણે બહુ જલ્દી ગુમાવી દીધા હતા. PMએ જણાવ્યુ કે ખુદ મહાત્મા ગાંધીએ કહ્યુ હતુ કે આપણે કદાચ અનેક જન્મો લેવા પડશે પરંતુ શ્રીમદ રાજચંદ્ર માટે તો એક જ જન્મ પુરતો છે. જેનાથી ખુદ મહાત્મા ગાંધીના વિચારો પ્રભાવિત થયા, જે મહાત્માં ગાંધીને આજે આપણે વિશ્વમાં પથપ્રદર્શક તરીકે જોઈએ છીએ, જે મહાત્મા ગાંધીના વિચારોના પ્રકાશમાં વિશ્વ એક નવા જીવનને શોધે છે એ પૂજ્ય બાપુ પણ તેમની આદ્યાત્મિક ચેતના માટે શ્રીમદ રાજચંદ્રથી પ્રેરિત હતા તેમ PM મોદીએ જણાવ્યુ હતુ.