Vadodara: જેને જે કરવું હોય તે કરે, આપણે ભલા અને સ્વામી ભલા, સોખડા મંદિરમાં વિવાદ કોરાણે અને ‘પ્રેમ’ જ હવે ગાદીના સ્વામિ
યોગી ડીવાઈન સંસ્થાના જશભાઈએ આ જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત કરતાં કહ્યું કે પ્રેમ સ્વામી સૌના હૈયામાં હરી પ્રસાદ સ્વામી તરીકે બિરાજી ગયા છે.
હરિધામ સોખડા મંદિરમાં ગાદીના વિવાદ વચ્ચે પ્રેમ સ્વરૂપ સ્વામીને શોલ ઓઢાડી ગાદીપતિ તરીકે જાહેર કરી દેવાયા
હરિધામ સોખડા (Haridham Sokhada) મંદિરમાં ગાદીને લઈને ચાલી રહેલા વિવાદ પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી છે છતાં આજે આડકતરી રીતે પ્રેમ સ્વરૂપ સ્વામીને ગાદીપતિ જાહેર કરી દેવાયા છે. હરિપ્રસાદ સ્વામી (Hariprasad Swami) ના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણી દરમિયાન પ્રેમ સ્વરૂપ સ્વામી (Prem Swarup Swami) ને શોલ ઓઢાડી ગાદીપતિ તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે. આ પ્રસંગમાં યોગી ડીવાઈન સંસ્થાના જશભાઈએ આ જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત કરતાં કહ્યું કે પ્રેમ સ્વામી સૌના હૈયામાં હરી પ્રસાદ સ્વામી તરીકે બિરાજી ગયા છે. હરિપ્રસાદ સ્વામી પ્રેમસ્વામીને આપણને ભેટ સ્વરૂપે સોંપીને ગયા છે. પ્રેમસ્વામીને આપણે ખુશ રાખવાના છે. હરિપ્રસાદ સ્વામીનું ઋણ આપને અદા કરવાનું છે. જેને જે કરવું હોય એ કરે, આપણે ભલા ને આપના સ્વામી ભલા.
ઉલ્લેખનીય છે કે આજે સવારથી હરિધામ સોખડા મંદિરમાં હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણી શરૂ થઈ છે. જોકે પ્રાગટ્ય દિવસની ઉજવણી પ્રસંગમાં પ્રબોધ સ્વામી (Prabodh swami) જૂથની ગેરહાજરી જોવા મળી છે. પ્રબોધ સ્વામી જૂથની ગેરહાજરી અંગે ત્યાગ વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે પ્રબોધ સ્વામી જૂથ પ્રસંગમાં ન આવતા દુઃખ થયું છે. સૌ સાથે હોય તો એનો વિશેષ આનંદ આવે છે. ચાદર વિધિના બહાને પ્રેમ સ્વરૂપ સ્વામી ને ગાદી સોંપવાની વાત ખોટી છે. આ કાર્યક્રમમાં સત્તા માટે નહિ પરંતુ સન્માન માટે ચાદર ઓઢાડી છે. હરિપ્રસાદ સ્વામીના અનુગામી બધા જ છે, અનુગામી માટેનો આ પ્રસંગ નથી.
ઉલ્લેખનીય છે કે હરિધામ સોખડા મંદિરમાં સત્તા અને ગાદીનો વિવાદ ચાલી રહ્યો છે અને તેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી જૂથ સામસામે આવી ગયાં છે. આ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચતાં હાઈકોર્ટે સમાધાનનો રસ્તો અપનાવવા સુચન કર્યું હતું જેના પગલે બે દિવસ પહેલાં સમાધાન માટે પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે સમાધાન માટે બેઠક થઈ હતી. બેઠકમાં બંને પક્ષો તરફથી હકારાત્મક ચર્ચા થઈ હોવાની માહિતી મળી છે. આ બેઠકમાં કેટલાક મુદ્દાઓ અંગે વિશેષ ચર્ચા કરાઇ હતી. હવે 12 મેના રોજ ફરી બેઠકમાં ચર્ચા કરાશે. હાઇકોર્ટ નિવૃત્ત જસ્ટિસ એમ.એસ.શાહની હાજરીમાં બેઠક થશે. હરિધામ સોખડા મંદિર સંસ્થાનમાં ફરીથી યોગ્ય વાતાવરણ સ્થપાય તેવા પ્રયાસો કરાશે. સુધીર નાણાવટી અને ચિત્રજીત ઉપાધ્યાયની હાજરીમાં પહેલી બેઠક યોજાઈ હતી. હાઇકોર્ટના મીડિયેશન સેન્ટરમાં આ બેઠક મળી હતી.
મંદિરમાં અત્યારે અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીના પ્રગાટ્ય દિવસની ઉજવણીની તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત યોગી ડિવાઈન સોસાયટીના લેટર હેડ પર લોકોને પ્રેમ સ્વરૂપ સ્વામીને ચાદર ઓઢાડવાના જ્ઞાન વલ્લભ સ્વામીના પત્રને લઈને વિવાદ સર્જાયો હતો. આ આમંત્રણમાં ત્યાગવલ્લભ સ્વામીએ સહી કરતા વિવાદ વધુ વકર્યો હતો. પ્રબોધ સ્વામી જૂથે આ બાબતે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. તેઓએ કહ્યું કે ચાદર ઓઢાડવાનું સન્માન ગાદીપતિને જ મળી શકે છે. હરિભક્તોનું કહેવું છે કે “હાઈકોર્ટમાં 9મી તારીખે સમાધાન મુદ્દે બેઠક” થવાની છે ત્યારે બેઠક પૂર્વે ચાદર ઓઢાડવાની પ્રક્રિયા ન થવી જોઈએ. જોકે પ્રબોધ સ્વામી જૂથની આ માગણી છતાં આજથી હરિપ્રસાદ સ્વામીના 88માં પ્રાગટ્ય દિવસની ઉજવણી શરૂ થઈ છે.