વડોદરામાં (Vadodara) છેલ્લા થોડા દિવસથી રખડતા ઢોરોએ (Stray cattle) આતંક મચાવેલો છે. એક પછી એક અનેક લોકોને રખડતા ઢોરોએ અડફેટે લીધા છે. તાજેતરમાં જ રખડતાં ઢોરને કારણે હસતાં રમતાં પરિવારના એક આશાસ્પદ દિકરાની આંખ જતી રહી. એના ગણતરીના દિવસોમાં જ એક એવા વૃધ્ધનો હાથ રખડતી ગાયે તોડી નાખ્યો કે જેમના ઘરમાં તેમના સિવાય કમાનાર કોઈ નથી. આ બે ઘટનાઓએ મેયરની (Mayor) આંખ ઉઘાડી અને પછી તેમણે રખડતા ઢોરોને નિયંત્રણમાં લેવા આશ્ચર્યજનક કામગીરી હાથ ધરી છે.
12 મેના રોજ પણ વાઘોડિયા રોડ પર ગોવર્ધન ટાઉનશીપમાં રહેતો 18 વર્ષનો હેનીલ પટેલ કામ અર્થે સિટીમાં ગયો હતો. ત્યાંથી ઘરે આવતા સમયે સોસાયટી પાસે ડિવાઇડર કૂદીને આવેલી એક ગાયે તેની મોપેડને અડફેટે લીધી હતી. અકસ્માતમાં રોડ પર પડેલા હેનીલની આંખમાં ગાયનું શીંગડું ખુંપી ગયું હતું અને તેણે હંમેશા માટે આંખ ગુમાવી દીધી હતી. આ ઘટનાના 15 દિવસ બાદ મનપાનું તંત્ર જાગ્યું અને વાઘોડીયા રોડ વિસ્તારમાં ઢોરવાડા વિરૂદ્ધ કાર્યવાહી કરી. ઢોર માલિકો સાથે ઘર્ષણ થયું. પરંતુ તેમ છતાં કાર્યવાહી ચાલુ રહી. ત્યારે તંત્રની આ કાર્યવાહીને તો પરિવારે આવકારી. પરંતુ એ સવાલ પણ કર્યો કે જો પહેલા તેમણે આંખ ખોલી હોત તો આજે તેમના દિકરાને આંખ ન ગુમાવી પડી હોત.
આ સિવાય પણ એક સપ્તાહ પહેલા પાદરામાં એક વૃદ્ધ વ્યક્તિને ગાયે અડફેટમાં લેતા હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી. વૃ્દ્ધ વ્યક્તિને માથાના ભાગમાં તેમજ શરીરના અલગ અલગ ભાગોમાં ગેબી માર વાગ્યો હતો ત્યારે આ વૃદ્ધ વ્યક્તિના પરિવારે વીડિયો વાયરલ કરી રખડતા ઢોર મામલે રોષ વ્યક્ત કર્યો હતો.તો આ સિવાય વડોદરામાં સમા સાવલી રોડ પર રખડતા ઢોરે એક ટુ-વ્હીલર ચાલકને અડફેટે લીધો હતો. જેમાં યુવકને હાથ, પગ અને ખભાના ભાગે ઈજા પહોંચી હતી. જો કે આ બધી ઘટનાઓ પછી અંતે કોર્પોરેશનની ટીમ હવે જાગી છે.
જે કામ હજારો લોકોની ફરિયાદ, છાપા અને ટીવીના અહેવાલે ન કર્યું એ કામ આ માતાના આંસુએ કર્યુ. મનપા તંત્રની આ કાર્યવાહી, એક માતાના આક્રંદનું પરિણામ છે. હેનિલની માતાએ વડોદરાના શાસકો સમક્ષ ઠાલવેલી આ વેદનાની અસર એવી થઈ કે મેયર પોતે વ્યથિત થયા અને એક અદ્રશ્ય શક્તિથી બંધાયેલા હાથ ખોલીને તેમણે રખડતા ઢોર માલિકો સામે કડક કાર્યવાહી કરવાની સુચના આપી.
વડોદરામાં મેના આ એક જ મહીનામાં ઢોરની અડફેટે આવવાની એક પછી એક પાંચ ઘટનાઓ બની. એ બતાવે છે કે નિર્દોષો રસ્તે રઝળતા યમ જેવા રખડતાં ઢોરનો શિકાર બની રહ્યા છે. કોઇના હાથ તૂટે છે, તો કોઇના પગ ભાંગે છે, તો કોઇને આંખ અને ક્યારેક જીવન પણ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આજની કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી સાબિત ન થાય, અને શહેરમાંથી રખડતી આ બલાનો અંત આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે..નહીં તો હેનિલની જેમ અનેક લોકોનું જીવન અંધારામાં ધકેલાઇ શકે છે.