VADODARA: MS UNIનું સંશોધન, મોબાઈલના વધુ ઉપયોગથી યુવાનોમાં ચીડિયાપણું વધ્યું, ઊંઘ ઘટી
VADODARA : MS UNIના આંકડાશાસ્ત્ર વિભાગના 4 વિદ્યાર્થીઓએ શહેરના ફતેગંજ, વાસણા રોડ, પ્રતાપનગર અને હરણી રોડ એમ ચાર વિસ્તારમાં સર્વે કર્યો.
VADODARA : મહારાજા સંયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી (MS UNI)ના આંકડાશાસ્ત્ર વિભાગના ચાર વિદ્યાર્થીઓએ મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી યુવાનોના સ્વાસ્થ્ય પર પડતી અસરો અંગે અનોખું સંશોધન કર્યું છે. આ સંશોધનમાં ચોંકવાનાર તારણો સામે આવ્યાં છે.
337 લોકો પર સર્વે કારાયો MS UNIના આંકડાશાસ્ત્ર વિભાગના 4 વિદ્યાર્થીઓએ અધ્યાપક પ્રો.રાકેશ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ શહેરના ફતેગંજ, વાસણા રોડ, પ્રતાપનગર અને હરણી રોડ એમ ચાર વિસ્તારમાં 337 મોબાઈલ ઉપયોગ કરનારાઓ પર સર્વે કર્યો હતો. સર્વેમાં આપવામાં આવેલા જવાબોનું આંકડાશાસ્ત્રની પદ્ધતિથી સંશોધન અને વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
મોબાઈલના વધુ વપરાશથી ઊંઘ ઘટી આ સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યાં છે. જેમ કે 18 થી 23 વર્ષની વય જૂથના 77 ટકા યુવાનો દિવસમાં 4 કલાક કે તેથી વધુ સમય મોબાઈલ પાછળ વિતાવે છે. જ્યારે સરેરાશ 77.77 ટકા લોકોએ કહ્યુ કે તેઓ રાત્રીના 10 વાગ્યા બાદ પણ મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. જેમાં 51 ટકા લોકોને ઉંઘવા માટે 31 મિનિટનો સમય લાગી જાય છે. 11 ટકા લોકો 5 થી 6 કલાક અને 2.7 ટકા લોકો 5 કલાકથી ઓછી ઊંઘ લે છે. 10.4% લોકોને ઊંઘની ગોળી લેવી પડે છે.
મોબાઈલના વધુ વપરાશથી ચીડિયાપણું વધ્યું આ સર્વેમાં એક મહત્વનું અને ગંભીર તારણ એ આવ્યું છે કે મોબાઇલના વધુ પડતા વપરાશથી સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે. મોબાઈલના વધુ વપરાશથી યુવાનોમાં ચીડિયાપણું વધ્યું છે, તો સાથે માથા અને કાનમાં દુખાવો, આંગળીઓ અને અંગૂઠામાં ધ્રુજારી, આંખો દુખવી, બળતરા થવી અને આંખમાંથી પાણી પડવુ તેમજ થાક થાક લાગવો જેવી શારીરિક અને માનસિક સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે.