વડોદરા (Vadodara) જિલ્લાના પાદરા તાલુકાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે. પાદરા પાલિકાની (Padara Corporation) હદમાં આવતી સોસાયટીઓમાં છેલ્લા 5 વર્ષથી અહીંના લોકો વ્યથિત છે. જેનું એક માત્ર કારણ છે ગટરોનું ગંદુ પાણી. અહીં ઘરની બહાર નીકળવુ પણ મુશ્કેલ બની ગયુ છે. ઘરની બહાર નીકળતા જ ખૂબ જ દુર્ગંધ મારે છે. જેના કારણે લોકોનું અહીં રહેવુ મુશ્કેલ થઇ ગયુ છે. રહીશોએ આ અંગે તંત્રને વારંવાર રજૂઆત કરી છે. પણ તેનું નિરાકરણ આવતુ નથી. જેથી હવે રહીશોએ ઉગ્ર આંદોલનની (Protest) ચીમકી ઉચ્ચારી છે.
પાદરા તાલુકામાં વોર્ડ 3માં ગટરની સમસ્યાથી રહિશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંની સોસાયટીઓમાં ગટરો ઉભરાતા રોડ રસ્તા પર ગટરનું પાણી ફરી વળે છે. શૌચાલયના પાણી ગટર દ્વારા બહાર આવી રહ્યા છે. જેના કારણે રસ્તા ઉપર ખૂબ જ દુર્ગંધ આવતી હોય છે. માખી મચ્છરનો પણ અહીં ઉપદ્રવ વધી ગયો છે. આ સમસ્યાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે હવે લોકોને ગટરના પાણીના કારણે અન્ય રોગચાળો ફેલાવાનો પણ ડર છે.
સોસાયટીની બહારની મુખ્ય શેરીમાંજ ઉભરાતી ગટરથી લોકોને માંડ ચાલવા જેટલી જગ્યા મળે છે. એમાંય પાછુ સાચવીને દિવાલના સહારે નીકળવુ પડે છે. જો સહેજ પણ બેલેન્સ બગડ્યુ તો સમજો કે બંન્ને પગ તમારા ગટરમાં એટલે કે ગટરના પાણીમાં. સ્થાનિકોના આક્ષેપ છે કે સાફસફાઇ કામદાર આવે છે પણ વેક્યુમ કરીને જતા રહે છે પણ તેનાથી કાયમી નિરાકરણ આવતુ નથી. સમસ્યાનુ સત્વરે કાયમી ઉકેલ આવે તેવી માગ લોકો કરી રહ્યા છે.
જો કે અત્યાર સુધી તો લોકોને સમસ્યાના નિરાકરણની ઘણી ખાતરી આપવામાં આવી છે. જો કે હવે લોકોને આ ખાતરીમાંથી વિશ્વાસ તૂટી ગયો છે. તાજેતરમાં જ વધુ એક આંધળુ વચન આપીને અધિકારી સ્થળ મુલાકાત લઇને ગયા છે. પણ હકીકત એ છે કે 5-5 વર્ષોથી ગટર લાઇન ચોકઅપ છે. પાણી બેક મારે છે માટે ત્યાના લોકો હવે કંટાળી ગયા છે. વિદ્યાર્થીઓ હેરાન થાય છે, મહિલાઓની પીડાની પણ જાણે કોઇને પડી નથી. એમને પણ જાણે નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે.
થોડા સમય પહેલા પાલિકાના અધિકારીઓએ પાદરાને પેરિસ બનાવવાની વાત હતી. એમનો કહેવાનો તાતપર્ય એ હતો કે પાદરાને એકદમ કાચ જેવુ સરસ મજાનુ ચોખ્ખુ કરી દેવુ છે, પણ એનાથી સાવ ઉંધુ થયુ છે. પાદરા પાલિકા હદ વિસ્તારમાં પ્રવેશ કરો એટલે તમારે મોંઢે રૂમાલ રાખીને નીકળવુ પડે. એટલી દુર્ગંધ કે વાત ના પૂછો. પાદરામાં ગટર લાઇન ચોકઅપ થવાના કારણે પાણી બહાર આવે છે અને અતિશય દુર્ગંધ મારે છે. ત્યારે સ્થાનિકોની બસ એક જ ફિકર છે કે ગટરો સાફ થાય અને કાયમી આ ઝંઝટમાંથી મુક્તિ મળે.
હાલમાં સફાઇ માટેની કામગીરી હાથ ધરવા માટે આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જો કે તાજેતરમાં મુલાકાત લઇને ગયેલા નગરપાલિકાના કર્મચારીઓ તો અંતમાં સ્થાનિકોને જ સફાઇ રાખવાની સલાહ આપતા ગયા.