વડોદરામાં ગમખ્વાર અકસ્માત બાદ શહેર ભાજપ પ્રમુખે હોળીના કાર્યક્રમો રદ કર્યા હતા. પરંતુ, ધારાસભ્યો અને પૂર્વ પ્રમુખોએ આ નિર્ણયને અવગણી રંગોત્સવ ઉજવ્યો. આ ઘટનાથી ભાજપમાં શિસ્તનો અભાવ અને નેતૃત્વની અવગણના દેખાય છે. આ ઘટના રાજકીય રીતે પણ ગરમાટો ફેલાવી રહી છે.
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ નજીક હોળીની રાત્રે થયેલા ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર શહેરમાં શોકનો માહોલ છે. લોકોના આક્રોશ અને સંવેદનાને ધ્યાનમાં રાખી શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ ભાજપના ધુળેટીના તમામ કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી હતી. તેમ છતાં, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે તેમના સમર્થકો સાથે રંગોત્સવ યોજ્યો, જેનાથી રાજકીય માહોલ ગરમાયો છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, પૂર્વ શહેર પ્રમુખ ડૉ વિજય શાહ, ધારાસભ્ય કેયૂર રોકડીયા અને મહામંત્રી જશવંતસિંહ સોલંકીએ પણ હાજરી આપી હતી, જેનાથી વિવાદ ઉગ્ર બન્યો છે.
શહેરના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પણ શોક દર્શાવતા કોઈપણ જાહેર કાર્યક્રમમાં ન જવાની જાહેરાત કરી હતી. બીજી તરફ ડેપ્યુટી મેયર દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામા આવી. આ કાર્યક્રમથી ભાજપમાં સંકલનનો અભાવ છે કે નવા પ્રમુખની અવગણના શરૂ થઈ છે એ સવાલ ઊભા થયા છે. જેમણે ભાજપ પ્રમુખ દ્વારા કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી હતી તે મીડિયા ઈન્ચાર્જ હર્ષદ પરમાર પણ ડેપ્યુટી મેયરને ત્યાં રંગે રંગાયેલા જોવા મળ્યા હતા.
વડોદરા ભાજપમાં ડબલ સ્ટાન્ડર્ડ જોવા મળ્યા હતા, શહેર ભાજપ પ્રમુખે ધૂળેટીના કાર્યક્રમો રદ કર્યા તો ધારાસભ્યો અને પૂર્વ પ્રમુખ રંગે રંગાયા હતા. ઉલ્લેખનીય છે કે નવા શહેર ભાજપ પ્રમુખના નામની જાહેરાત એ એક ઝટકો તમામ કાર્યકરો માટે હતો. પરંતુ હવે જ્યારે સંગઠનના પ્રમુખ દ્વારા લેવાયેલા નિર્ણયની અવગણના અનેક સવાલ ઉભા કરી રહી છે.