ગુજરાત (Gujarat) એન.સી.સી.ના એડીજી એ વડોદરા(Vadodara) ખાતેના એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર ની વાર્ષિક નિરીક્ષણ મુલાકાત પ્રસંગે માધ્યમો સાથે સંવાદ કર્યો છે. ગુજરાત એન.સી.સી.ના વડા મેજર જનરલ અરવિંદ કપૂરે સેના પ્રવેશની નવી અગ્નિપથ યોજનાને (Agneepath) આવકારતા જણાવ્યું કે આ યોજના સેનામાં પ્રવેશ માટેનો મંચ પૂરો પાડે છે.
ગુજરાત અને દાદરા,નગર હવેલી અને દીવના એન.સી.સી.ના અધિક મહા નિયામક (એ.ડી.જી.) કપૂરે આજે વડોદરા ખાતેના એનસીસી ગ્રુપ હેડ કવાર્ટરની વાર્ષિક નિરીક્ષણ મુલાકાત સમયે માધ્યમો સાથે સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી પોતે તેમના વિદ્યાર્થી કાળમાં એન.સી.સી.કેડેટ રહ્યાં છે તેનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે તેઓ અમારા સૌ થી મોટા પ્રેરણા સ્ત્રોત છે અને રાષ્ટ્રીય સ્તરે અમને તેમના તરફ થી ખૂબ પ્રોત્સાહન અને પીઠબળ મળી રહ્યું છે.અમે એન.સી.સી.દ્વારા ભવિષ્યના નેતૃત્વનું ઘડતર કરીએ છે એવી લાગણી તેમણે વ્યક્ત કરી અને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે એન.સી.સી.સાથે જોડાવા આહવાન કર્યું હતું.
તેમણે વડોદરા ખાતેના એન.સી.સી.ગ્રુપની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે ગુજરાત સરકારે હંમેશા અમારી પ્રવૃત્તિઓ ને ટેકો આપ્યો છે અને ખાસ કરીને ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી એ છેલ્લા એક વર્ષમાં ખૂબ જ પીઠબળ આપ્યું છે. તેમણે સંકેત આપ્યો કે ગુજરાત સરકારના સહયોગથી જાન્યુઆરીમાં એક મોટું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના માટે તેઓ સુરત અને દાંડીની મુલાકાત પણ લેવાના છે.
(With Input, Yunus Gazi, Vadodara)