VADODARA : વાઘોડિયાની એક અનોખી શાળા, ખેતી- વૃક્ષ ઉછેરની સાથે અદ્યતન લેબમાં કોમ્પ્યુટરની તાલિમ આપે છે
VADODARA : જિલ્લાની એક ગ્રામીણ શાળા કે જે વાઘોડિયા તાલુકામાં લગભગ પાવાગઢની તળેટી વિસ્તારમાં 1991થી કાર્યરત છે. તે શાળા વિદ્યાર્થીઓને સંસ્થાના ખેતરોમાં ખેતી કાર્ય અને સંસ્થા પરિસરમાં વૃક્ષ ઉછેરની તાલીમની સાથે અદ્યતન કોમ્યુટર લેબમાં કોમ્યુટરનું પ્રશિક્ષણ આપવાની સાથે ઉમદા શિક્ષણ આપે છે.
VADODARA : જિલ્લાની એક ગ્રામીણ શાળા કે જે વાઘોડિયા તાલુકામાં લગભગ પાવાગઢની તળેટી વિસ્તારમાં 1991થી કાર્યરત છે. તે શાળા વિદ્યાર્થીઓને સંસ્થાના ખેતરોમાં ખેતી કાર્ય અને સંસ્થા પરિસરમાં વૃક્ષ ઉછેરની તાલીમની સાથે અદ્યતન કોમ્યુટર લેબમાં કોમ્યુટરનું પ્રશિક્ષણ આપવાની સાથે ઉમદા શિક્ષણ આપે છે.
વનકૂંવા ગામની આ વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય પૂજ્ય દિવ્ય આત્મા સ્વરૂપ અનુબેન ઠક્કર સ્થાપિત અને મુનિ સેવાશ્રમ ટ્રસ્ટ, ગોરજના સેવા મૂર્તિ ડો.વિક્રમ પટેલ અને ટ્રસ્ટી મંડળ સંવર્ધિત છે. જેણે અદ્યતન શહેરી શાળાઓને પાછળ રાખીને રાજ્યની શ્રેષ્ઠ શાળાઓમાં ત્રીજું સ્થાન અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તરફથી રૂપિયા બે લાખનું પ્રોત્સાહક ઈનામ મેળવ્યું છે. ગઇકાલે જ રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ શાળાને સન્માનિત કરી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજના આદર્શોને વરેલી આ શાળાએ સમાયોચિત આધુનિકીકરણ અપનાવ્યું છે. હાલમાં સોલાર એનર્જીનો વિનિયોગ વધ્યો છે. પરંતુ આ શાળા લગભગ એક દાયકા પહેલાંના સમયથી વિદ્યાર્થીઓ માટે રસોઈ બનાવવા, પાણી ગરમ કરવા સહિતના કાર્યો અને પ્રકાશ વ્યવસ્થા માટે સોલાર પેનલોનો ઉપયોગ કરી રહી છે.
વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા આ વિસ્તારમાં મોટેભાગે આછી પાતળી ખેતી કરનારા, ઔધોગિક એકમોમાં નોકરી કરનારા કે ખેત મજૂરી કરનારા પરિવારોનો વસવાટ છે. તેમના બાળકોને સારું શિક્ષણ આપવાના ઉમદા ધ્યેય સાથે લગભગ 30 વર્ષ પહેલાં સદગત અનુબેન ઠક્કરે આ શાળાની સ્થાપના કરી.
આ જાણકારી આપતાં આચાર્ય બળવંતસિંહ ઝાલાએ જણાવ્યું કે અમારી શાળામાં શિક્ષણ મેળવનારા લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ સારી નોકરીઓમાં લાગ્યા છે. અથવા સ્વમાનભેર ધંધો, રોજગાર કે વ્યવસાય કરે છે. આ શાળાએ તેમને સમાજના ઓશિયાળા રહેવાને બદલે શિક્ષણ દ્વારા આત્મનિર્ભર કર્યા એનો અમને આનંદ છે.
તેમણે જણાવ્યું કે, શ્રેષ્ઠ શાળા માટે 100 માર્ક્સના વિવિધ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. આ માપદંડોમાં જિલ્લા કક્ષાએ જે શાળાઓ 75 કરતાં વધુ ગુણ મેળવે તેઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. અમારી શાળા ધોરણ 10 અને 12 ના પરિણામોમાં ઉત્તરોત્તર ઊંચું પરિણામ મેળવે છે, એ બાબત પણ આ ઈનામ માટે ધ્યાનમાં લેવામાં આવી છે.
અમારી શાળામાં મોટી લાયબ્રેરી પણ છે. અહીં ધોરણ 12 સુધીના શિક્ષણની વ્યવસ્થા અને 250 જેટલાં વિદ્યાર્થીઓ છે. પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ફરજિયાત સંસ્થાની હોસ્ટેલમાં રહીને જ શિક્ષણ લેવાનું રહે છે. શિક્ષણ,નિવાસ અને ભોજન માટે ખૂબ જ રાહતદરે નજીવો ચાર્જ લેવામાં આવે છે. સંસ્થા મોટેભાગે સહૃદયી દાતાઓ અને શુભેચ્છકોના સહયોગથી સમાજ ઉત્કર્ષ માટે આ શાળા ચલાવે છે.
અમારા પરિસરમાં ખૂબ મોટા પ્રમાણમાં આંબા,ચંદન,એલચી, રુદ્રાક્ષ સહિત અવનવા ફળાઉ અને ઔષધીય વૃક્ષોનો ઉછેર કરવામાં આવે છે. આમ,અમે વિદ્યાર્થીઓને પ્રકૃતિ સાથે જોડી પર્યાવરણ પ્રેમી પેઢીના ઘડતરનો પ્રયાસ કરીએ છે.
સ્વર્ગસ્થ પૂજ્ય અનુબેન ઠક્કરે ગોરજમાં દેશની,ગ્રામ વિસ્તારની સર્વપ્રથમ અદ્યતન કેન્સર હોસ્પિટલ અને આરોગ્ય, શિક્ષણ, પ્રજ્ઞામંદ બહેન દીકરીઓ, વડીલોના કલ્યાણ માટેની સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ શરૂ કરી. આ શાળા પણ તેનો જ ભાગ છે અને શિક્ષણની સાથે સેવા સંસ્કારો અને આત્મ નિર્ભરતાનું સિંચન કરી રહી છે.