AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara: પ્રકૃતિની અનોખી ભેટ જેવું પક્ષી ‘ચિલોતરો’, તસ્વીરકાર ડો.રાહુલ ભાગવતે ઠેર ઠેર ફરીને વિવિધ પ્રજાતિના ચિલોતરાની લીધી સરસ છબીઓ

Hornbill: પ્રકૃતિની આવી જ એક અજાયબી સમાન છે ચિલોતરા જેવા વિચિત્ર નામે ઓળખાતું પક્ષી જે વડોદરા શહેરમાં ખાસ કરીને રાજમહેલની આસપાસની ગીચ વનરાજીમાં જોવા મળે છે.

Vadodara: પ્રકૃતિની અનોખી ભેટ જેવું પક્ષી 'ચિલોતરો', તસ્વીરકાર ડો.રાહુલ ભાગવતે ઠેર ઠેર ફરીને વિવિધ પ્રજાતિના ચિલોતરાની લીધી સરસ છબીઓ
ડો.રાહુલ ભાગવતે લીધેલી ચિલોતરાની તસ્વીરો
yunus.gazi
| Edited By: | Updated on: Jun 10, 2021 | 4:46 PM
Share

વડોદરા (Vadodara)ના વન્ય જીવ તસ્વીરકાર ડો.રાહુલ ભાગવતે (DR Rahul Bhagwat)વિવિધ પ્રજાતિના ચીલોતરાની તસ્વીરો પાડી છે. તાજેતરમાં જ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય ગયો, જેમાં પૃથ્વીની જૈવિક અને વાનસ્પતિક તેમજ નદી, સરોવર, સમુદ્ર જેવી વિવિધતાઓની સાચવણી અને સંવર્ધનની હિમાયત કરવામાં આવી. કુદરતના સંતાન જેવા ફૂલ, ફળ, વૃક્ષો, પંખીઓ, પશુઓ અરે! જીવ જંતુઓમાં મેઘધનુષી રંગની વિવિધતા જોવા મળે છે.

પ્રકૃતિની આવી જ એક અજાયબી સમાન છે ચિલોતરા જેવા વિચિત્ર નામે ઓળખાતું પક્ષી જે વડોદરા શહેરમાં ખાસ કરીને રાજમહેલની આસપાસની ગીચ વનરાજીમાં જોવા મળે છે. વડોદરાના વન્ય જીવ તસ્વીરકાર ડો.રાહુલ ભાગવતે ઠેર ઠેર ફરીને વિવિધ પ્રજાતિના ચિલોતરાની સરસ છબીઓ લીધી છે. ચીલોતરો જેને અંગ્રેજીમાં ‘હોર્ન બિલ’ (DR Rahul Bhagwat)કહે છે એ પક્ષી અન્ય પક્ષીઓની સરખામણીમાં ઘણું મોટું, આકર્ષક કે સુંદર ન કહી શકાય તો પણ ધ્યાન ખેંચનારું પક્ષી છે.

એની લાંબી અને કંઈક અંશે અર્ધ ચંદ્રાકાર ચાંચની ઉપર શિંગડા જેવો ઉપસેલો ભાગ જોવા મળે છે, જેના લીધે અંગ્રેજીમાં કદાચ આ પક્ષીનું હોર્ન (શિંગડું) બિલ નામ પડ્યું હશે. વડોદરાના ડો.રાહુલ ભાગવતને પક્ષી જગત માટે ફોટોગ્રાફી કન્સલ્ટન્ટ તરીકે ઓળખાવી શકાય કારણ કે તેમણે દેશના બધે ખૂણે જઈને આ પાંખાળા દેવદૂતોની આંખ ઠરે તેવી તસવીરો ખૂબ રખડી રખડીને અને ધીરજપૂર્વક પ્રતીક્ષા કરીને લીધી છે.

હોર્નબિલના જે પ્રકાર ભારતમાં જોવા મળે છે તેની વિવિધતાને તેમણે કેમેરામાં ક્લિક કરી છે. ફોટોગ્રાફીની સાથે ડો.રાહુલ પક્ષીઓની જીવનશૈલી અને ખાસીયતોનું ઝીણું નિરીક્ષણ પણ કરે છે અને જરૂરી જાણકારી પણ મેળવે છે. આ પક્ષીઓમાં નર માદાની એકબીજા પ્રત્યેની વફાદારી અજોડ છે તેવી જાણકારી આપતાં ડો.રાહુલ જણાવે છે કે તેઓ હંમેશા જોડી જાળવે છે અને જોડીમાં જ ફરે છે. તેની બીજી એક ખાસિયત ઈંડાના સેવન અને બચ્ચાની કાળજી લેવાની છે.

જ્યારે માદા ઈંડા મૂકે ત્યારે તે પોતાના માળાને ફક્ત નર પક્ષી એની ચાંચ ઘુસાડી શકે તેટલી જગ્યા રાખીને ચારે તરફથી સજ્જડ બંધ કરી લે છે. તે પછી લગભગ ત્રણ મહિના સુધી માદા સતત આ માળામાં બચ્ચાઓ સાથે બંધ રહે છે. નર રોજ ખોરાક લાવી બારીમાંથી ચાંચ માળામાં નાંખી માદાને આપે છે. માદા આ માળાને અંદરથી તોડી શકતી નથી એટલે જો નર આ સમયગાળામાં કોઈનો શિકાર બની જાય તો માદા અને બચ્ચાં માળામાં મૃત્યુ વહોરી લે છે.

લગભગ ત્રણ મહિના પછી નર માળો તોડી માદાને બહાર કાઢે છે. પછી પાછી બારી રાખી માળાને જડબેસલાક બંધ કરી દે છે અને બચ્ચાઓ અંદર સુરક્ષિત રહે છે. આખરે બચ્ચા પુખ્ત અને ઉડવા યોગ્ય થાય ત્યારે તેમને બહાર લાવવામાં આવે છે. આ પક્ષી ઘેઘૂર ઝાડોની મોટી બખોલોમાં માળા બાંધવાનું પસંદ કરે છે એટલે મોટોભાગે આવા વૃક્ષો ઘોર જંગલમાં વસે છે. જો કે જંગલો પાંખા થવાને લીધે હવે વડોદરા જેવા મહાનગરોમાં સઘન હરિયાળીવાળા વિસ્તારોના મહાકાય વૃક્ષોમાં તેમને વસવાટ કર્યો છે.

વડોદરાના રાજમહેલની આસપાસની ગીચ ઝાડીઓમાં તેને જોઈ શકાય છે. અગાઉ ગીરના જંગલોમાં તેની ખૂબ વસતી હતી, પરંતુ એક ગેરમાન્યતાને લીધે આ પક્ષી જોખમમાં મુકાયું હતું. જો કે હવે જાગૃતિને લીધે તેને નવજીવન મળ્યું છે. ચિલોતરો એટલે કે ધનેશ પક્ષી જગતમાં ખૂબ આગવી શરીર રચના ધરાવે છે એવી જાણકારી આપતાં ડો.રાહુલ ભાગવત કહે છે કે ભારતીય ઉપખંડમાં અને ભારતમાં તેની પ્રજાતિઓ, શરીરના રંગ અને કદની વિવિધતા જોવા મળે છે જેમ કે ગ્રે હોર્નબિલ, મલાબાર પાઈડ હોર્નબિલ, રૂફુસ નેક હોર્નબિલ, માલાબાર હોર્ન બિલ અને ગ્રેટ હોર્નબિલ ઇત્યાદિ એકથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે.

જો કે નિષ્ણાત પક્ષીવિદો આ બાબતમાં વધુ કહી શકે. એની ઉડવાની શૈલી પણ ખૂબ રસપ્રદ છે. પાંખ વિંઝયા પછી પહોળી રાખી હવામાં ગ્લાઈડિંગ કરતો હોય તેમ ઉડે. ફરી થી પાંખ વીંઝે ત્યારે એનો ફફડાટ દૂર સુધી સંભળાય. વિવિધ પ્રકારના, વડના ટેટા, અંજીરના ફળ, જંગલી ફળ, જીવ જંતુ એનો ખોરાક છે. આ વૃક્ષચર પક્ષી છે જે ક્યારેક જ જમીન પર પડેલા ફળ, ટેટા કે જીવડાં ખાવા ઉતરે છે. વડ જેવા ઘેઘૂર વૃક્ષોમાં રહેવાનું તેને પસંદ છે.

વૃક્ષોની સંખ્યા ખૂબ હોય તો ટોળામાં પણ જોવા મળે છે. તેનો અવાજ સમડી જેવો કર્કશ છે. રાખોડી ચિલોતરો તળ ગુજરાતનો સ્થાયી નિવાસી છે. દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળે છે. પર્યાવરણ અનેક સજીવ આશ્ચર્યોથી ભરપુર છે. વિવિધતા એ પ્રકૃતિની વિશેષતા છે અને ચિલોતરો સહિતના પક્ષી અને વનસ્પતિઓની, જંગલોની જાળવણીથી જ આ વિશ્વની પ્રાકૃતિક વિશેષતા સચવાશે.

g clip-path="url(#clip0_868_265)">