વડોદરામાં(Vadodara rathyatra) રથયાત્રા નીકળવાની છે ત્યારે આવતીકાલે વડોદરા રથયાત્રા પર્વને અનુલક્ષીને વડોદરા શહેર પોલીસ(Vadodara police ) તરફથી રથયાત્રા રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ તથા એરીયા ડોમીનેશન કરવામાં આવ્યું હતું સાથે જ કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ જે તે વિસ્તારના ગુનાહીત ઈતિહાસ ધરાવતા ઈસમોને પણ ચેક કરવામાં આવ્યા હતા.
વડોદરામાં શહેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ કામગીરીમાં 4 DCP, 4 ACP, તેમજ 15 PI તથા SRPની 2 કંપની અને CISF-1 કંપની તેમજ 100થી વધુ પોલીસ કર્મચારીઓ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા. તેમજ રથયાત્રા સઘન પોલીસ બંદબોસ્ત સાથે શાંતિપૂર્ણ માહોમાં પૂર્ણ થાય તેની સમગ્ર વ્યવસ્થા ચકાસવામાં આવી હતી.
વડોદરામાં પોલીસ તેમજ મહાનગર પાલિકા દ્વારા રથયાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને ખાસ તો પ્રસાદ માટે વિશેષ શીરો બનાવાવની તૈયારીઓ પણ થઈ ગઈ છે.
પરંપરાગત રીતે દરવર્ષની જેમ આ વર્ષે પણ શહેરના રેલવે સ્ટેશનથી બપોરે 2:30 કલાકે રથને પ્રસ્થાન કરાવવામાં આવશે ત્યારે શહેરના પ્રથમ નાગરિક મેયર પહિંદ વિધી કરીને ભગવાનના રથનું પૂજન કરશે. ગુજરાતમાં રથયાત્રાના દિવસે વડોદરા શહેર ઉપરાંત, ભાવનગર, ગઢડા, જામનગર, રાજકોટ ધોળકા સહિત અનેક શહેરોમાં નાની મોટી રથયાત્રા નીકળતી હોય છે. અમદાવાદમાં પણ એસ.જીહાઇવે ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.