હરિહરાનંદ બાપુને વડોદરા ક્રામબ્રાંચમાં લાવવામાં આવ્યા, ગુમ થવા પાછળના રહસ્ય પરથી પડદો ઉંચકાશે
બાપુ કેવી રીતે નાસિક પહોંચ્યા તે અંગે તપાસ થઇ શકે છે. સાથે જ જો બાપુ વિશ્વાસઘાતની માહિતી અને પુરાવા આપશે તો આ દિશામાં પણ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી શકે છે.
આખરે ગુમ હરીહરાનંદ બાપુ (Hariharanand Bapu) મળી ગયા છે અને ત્રણ દિવસના નાટકીય ઘટનાક્રમનો અંત આવ્યો છે. જૂનાગઢ આશ્રમના ગુમ હરીહરાનંદ સ્વામી નાસિકથી મળ્યા છે. નાસિકમાં એક ટેક્સીમાંથી બાપુ હેમખેમ મળી આવતા સાધુ-સંતોમાં ખુશીની લહેર ફરી વળી છે. હાલ બાપુને લઇને ક્રાઇમ બ્રાંચની ટીમ વડોદરા પહોંચી છે. જ્યાં ક્રાઇમ બ્રાંચ દ્વારા બાપુની પુછપરછ કરાશે. અને બાપુ કેવી રીતે નાસિક પહોંચ્યા તે અંગે તપાસ થઇ શકે છે. સાથે જ જો બાપુ વિશ્વાસઘાતની માહિતી અને પુરાવા આપશે તો આ દિશામાં પણ ક્રાઇમ બ્રાંચ તપાસ કરી શકે છે. મહત્વપૂર્ણ છે કે બાપુએ સરખેજ આશ્રમ વિવાદને પગલે વ્યથિત હોવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે જૂનાગઢના ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ નાસિકમાં ટેક્સીમાંથી સલામત હોવાની માહિતી મળી હતી. બાપુના અનુયાયીઓ દ્વારા જ તેમને શોધી કઢાયા બાદ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમને લેવા માટે રવાના થઈ હતી અને તેમને નાસિકથી વડોદરા લાવી હતી. સ્વામી હરીહરાનંદને શોધવા માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, PCB અને સાયબર સેલ સહિતની ટીમો લાગી હતી. બાપુના ગુમ થવા પાછળ સંપત્તિ વિવાદ હોવાની ચર્ચા તેજ બની રહી છે.
આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા
ભારતી આશ્રમના ગાદીપતિ હરીહરાનંદ બાપુ ગુમ થવાનો મામલે વડોદરાની ક્રિષ્ણા હોટેલ પાસેના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા હતા. ફૂટેજમાં હરીહરાનંદ બાપુ રસ્તા પર ચાલતા દેખાય છે. ઉલ્લેખનીય છે કે, આશ્રમના વિવાદથી હરીહરાનંદ બાપુ કંટાળી ગયા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, વાડી પોલીસ સહિતની ટીમો બાપુને શોધવામાં કામે લાગી હતી.આ ઉપરાંત એ પણ સામે આવ્યુ હતુ કે, ગુમ થયેલા હરીહરાનંદ ભારતી બાપુ વડોદરામાં તેમના ભક્ત રાકેશભાઈ ડોડીયાના ઘરે ગયા હતા. ત્યારે હાલ હરીહરાનંદ બાપુ ક્યા કારણોસર ગુમ થયા હતા તે પોલીસ પુછપરછમાં જ માહિતી બહાર આવશે.
વડોદરાના વાડી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી
હરીહરાનંદ ભારતી બાપુએ ગુમ થતાં પહેલાં એક ચીઠ્ઠી લખી હતી આ ઉપરાંત એક વીડિયો પણ સામે આવ્યો હતો. હરીહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ ભારતી આશ્રમના સ્થાપક ભારતી બાપુના દેવલોક થયા બાદ ગાદી સંભાળી હતી. આ ઘટના બાદ હરીહરાનંદ ભારતી બાપુના ભક્તોએ વડોદરાના વાડી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. હરીહરાનંદ ભારતી બાપુને માથાભારે શખ્શો તરફથી જાનથી મારી નાખવાની ધમકી પણ મળતી હોવાનુ પણ સામે આવ્યુ હતુ. જેણા કારણે વડોદરા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી.