Vadodara: શહેર-જિલ્લાની અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 81 શિક્ષણ સહાયકોને નિમણૂંક આપવામાં આવી છે. તે પૈકીના 20 જેટલા શિક્ષણ સહાયકોને કલેક્ટર શાલિની અગ્રવાલના હસ્તે પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો આપવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી ઓનલાઈન જોડાયા : નવનિયુક્ત શિક્ષણ સહાયકોને રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવા કર્યું આહવાન
રાજ્યમાં 2938 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને આવકારતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગર સ્થિતથી ઓનલાઈન સંબોધન કરતા જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિમાં શિક્ષક-ગુરૂ ખૂબ ઉચ્ચસ્થાન ધરાવે છે. વિદ્યાર્થીઓના ચરિત્ર ઘડતર અને રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની મહત્વની ભૂમિકા રહેલી છે. ત્યારે સમગ્ર વિશ્વના પડકારો ઝિલતી થાય તેવી નવી પેઢી શિક્ષકોએ તૈયાર કરવાની છે. સાથે જ તેમણે રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં ટૂંક સમયમાં પારદર્શક રીતે ભરતી કરી હોવાનું ઉમેર્યું હતું.
કલેક્ટર શાલિની અગ્રવાલના હસ્તે 20 શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક રીતે નિમણૂંક પત્રો એનાયત
કલેક્ટર કચેરીના ધારાસભા હોલ ખાતે નવનિયુક્ત શિક્ષણ સહાયકોને સંબોધતા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, સમાજ –દેશના વિકાસ માટે શિક્ષણ સર્વોપરી છે. સમાજમાં શિક્ષકને એક આદર્શની સાથે શ્રદ્ધા અને સન્માનના ભાવથી જોવામાં આવે છે. ત્યારે નવી પેઢી તૈયાર કરવાની બહુ મોટી જવાબદારી તમારા શિરે છે. સાથે દરેક શિક્ષણ સહાયકો પોતાની ફરજ ખૂબ સારી રીતે નિભાવે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરીએ નવનિયુક્ત શિક્ષણ સહાયકોને સમયબદ્ઘતા અને ગુણવત્તાને લક્ષમાં રાખવા ભારપૂર્વક જણાવ્યું હતું. ઉચ્ચ શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશનર નારાયણ માધુએ પણ પ્રસંગોચિત ઉદ્ધબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, શિક્ષણ સચિવ વિનોદ રાવે ઓનલાઈન પ્રાસંગિક ઉદ્ધબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર ડી.આર.પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચના ચૌધરી અને નવનિયુક્ત શિક્ષણ સહાયકો ઉપસ્થિત રહ્યા હતા.
Published On - 7:05 pm, Tue, 1 June 21