
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામની સીમમાંથી ખાનગી કંપની દ્વારા વીજલાઇન નાખવા મામલે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા અગાઉ ખેડૂતોને વળતર મામલે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ આ નવી વળતર નીતિ પણ ખેડૂતોને મંજૂર નથી. ત્યારે સરકાર ખેડૂતોના હિતને ધ્યાને લઈ યોગ્ય વળતર આવે તેવી માંગ સાથે ખેડૂતોએ સુરેન્દ્રનગર ખાતે વિશાળ રેલી યોજી હતી. કોંઢ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા અને આસપાસના ગામોના ખેડૂતો વિશાળ સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. મેળાના મેદાન થી કલેકટર કચેરી સુધી યોજાયેલી આ વિશાળ રેલીમાં ખેડૂતોએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ દર્શાવ્યો હતો.
ની.ઓ 2 અને જિલ્લા કલેકટર કચેરીમાં આવેદન પાઠવી રજૂઆત કરતા ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જાહેર કરેલ નવો પરિપત્ર ખેડૂતોને મંજૂર નથી. સરકાર જો ખેડૂતોના હિત ની વાત કરતી હોય તો ખેડૂતોએ ખાનગી કંપનીના હિત નો નહીં ખેડૂતોના હિતમાં પરિપત્ર કરવો જોઈએ. તેમજ અન્ય રાજ્યોની જેમ ખેતરોમાં વીજલાઇન માટે ખેડૂતો ને ચાર ગણું વળતર આપવું જોઈએ. સરકાર દ્વારા જો યોગ્ય વળતર આપવામાં ન આવે તો આ વીજલાઇન શહેરો ની જેમ અંડર ગ્રાઉન્ડ નાખવી જોઈએ. જેથી ખેડૂતોને વળતર નો પ્રશ્ન જ ન રહે.
ખેડૂતોની રેલીમાં સુરેન્દ્રનગર જિલ્લા સહિત મોરબી અને આસપાસના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમજ મોટી સંખ્યામાં મહીલાઓ અને યુવતીઓ પણ જોડાઈ હતી. કલેક્ટર કચેરી મેદાનમાં જ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા ખેડૂતોની માંગ સ્વીકારવામાં નહી આવે તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા રાજ્યના 200 થી વધુ ગામોમાં આ અંગે જાગૃતિ લાવી તમામ ગામના ખેડૂતો ને સાથે રાખી ગાંધીનગર અને દિલ્હી સુધી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
Input Credit- Sajid Belim- Surendrangar
Published On - 8:13 pm, Tue, 28 July 26