લાંચ અને ખોટી રીતે લાભ (Corruption) કરાવવા મામલે CBI દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશ (IAS K Rajesh) સામે તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે. રાજેશ વિરુદ્ધ સીબીઆઈ(CBI) તપાસની માગ કરી હતી.
ત્યારે હવે આ કેસમાં IAS કે.રાજેશની મુશ્કેલી વધી શકે છે. હવે કે.રાજેશ સામે થયેલા ભ્રષ્ટાચાર કેસમાં ઇન્કમટેક્સ(Income Tax) અને ઇડી (Enforcement Directorate) પણ તપાસમાં જોડાઇ શકે છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કે.રાજેશના બેંક વ્યવહારમાં મોટા ટ્રાન્જેકશનો હોવાથી ઈન્ક્મટેક્સ વિભાગ તપાસમાં સક્રિય બને તેવી શક્યતા છે.
મહત્વનું છે કે કે.રાજેશ સામે ભ્રષ્ટાચારને લઇ CBI હાલ 3 ડઝનથી વધુ બેન્ક એકાઉન્ટના વ્યવહારની તપાસ કરી રહી છે.એટલું જ નહીં CBIની બીજી ટીમ હાલ પ્રોપર્ટીના દસ્તાવેજો પણ તપાસી રહી છે.તપાસ દરમિયાન પ્રોપર્ટીની વાસ્તવિક કિંમત અને દસ્તાવેજની કિંમતમાં મોટો તફાવત હોવાનું સામે આવ્યું છે.