ભાજપ હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયું છે. રાષ્ટ્રીય કારોબારી બાદ આજથી બે દિવસીય પ્રદેશ ભાજપની પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ થશે. ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ કારોબારી બેઠક મળશે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રધાનમંડળના સભ્યો સહિત પ્રદેશ કારોબારીના હોદ્દેદારો ભાગ લેશે. જ્યાં રાષ્ટ્રીય કારોબારીના આર્થિક, રાજકીય પ્રસ્તાવને સમર્થન આપવામાં આવશે. સાથે જ પ્રદેશ કારોબારીની બેઠકમાં ગુજરાતની ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માનવામાં આવશે. બેઠકમાં પીએમ મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ પાસ થશે. એટલું જ નહીં મિશન 2024 માટેના રોડ મેપ અંગે પણ ચર્ચા કરાશે.
ભાજપ હવે લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં લાગી જશે. 23 અને 24 જાન્યુઆરી એટલે કે આજથી બે દિવસ સુરેન્દ્રનગરમાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં કારોબારી મળશે. જેમાં ભાજપના નેતાઓ અને પદાધિકારીઓ હાજર રહેશે. આ બેઠકમાં ગુજરાતની 26 લોકસભા બેઠક પર જીત માટે પણ તૈયારીઓ શરુ કરી દેવામાં આવશે. 26માંથી 26 બેઠક મળે તે માટે રણનીતિ ઘડવામાં આવશે.
મહત્વનું છે કે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં પણ 2024માં યોજાનારી લોકસભા અને આ વર્ષે યોજાનારી 9 રાજ્યોની વિધાનસભા ચૂંટણીને લઇને ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાતમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત અંગે ચર્ચા થઇ. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતમાં ભાજપે કઇ રણનીતિ પર કામ કર્યું હતું તે અંગે માહિતી આપવામાં આવી હતી.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી પક્ષનુ સર્વોચ્ચ એકમ છે. તેમાં કુલ 80 સભ્યો છે. આ સિવાય 50 ખાસ આમંત્રિત સભ્યો અને 179 કાયમી આમંત્રિત સભ્યો હોય છે. આ સભ્યોમાં વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાન, પૂર્વ મુખ્ય પ્રધાન, રાષ્ટ્રીય પ્રવક્તા, રાષ્ટ્રીય મોરચાના વડાઓ, વિવિધ રાજ્યમાં પક્ષના પ્રભારીઓ, સહ પ્રભારીઓ અને સંગઠન સાથે સંકળાયેલા મહત્વના પદાધિકારીઓનો સમાવેશ થાય છે. આ એક એવી બેઠક હોય છે, કે રાષ્ટ્રીય અધ્યક્ષે રાષ્ટ્રીય કાર્યકારિણીની સંમતિ લીધા પછી જ નિર્ણયો લેવાના હોય છે.
Published On - 9:57 am, Mon, 23 January 23