Surat: ઉગત રોડ પર આવેલા આવાસના 150થી વધુ પરિવારોને પારાવાર હાલાકી, આની પાછળ જવાબદાર કોણ?
વરસાદના કારણે જહાંગીરપુરા ખાતે આવેલા વીર સાવરકર આવાસમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી છે.આવાસમાં જાણે તળાવ હોય એવા દ્રશ્યો અહીં સામે આવ્યા છે.
સુરત (Surat) શહેરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. આજે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ જોવા મળ્યો હતો ત્યારે જહાંગીરપુરા ખાતે આવેલા વીર સાવરકર આવાસમાં ઘૂંટણસમાં પાણી (Water) ભરાઈ ગયા હતા, જેથી અહીં રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રાંદેરના ઉગત રોડ ઉપર આવેલા આવાસની અંદર રહેતા 150 થી વધુ પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે 26 જેટલા અલગ અલગ બિલ્ડીંગો નીચાણવાળા વિસ્તારની અંદર ઊભા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે અત્યારે હાલાકી ભોગવવાનો વારો ત્યાં રહેતા રહીશોને આવી રહ્યો છે.
ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ સુરત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા અધિકારીઓને હેડ કવાર્ટર નહિ છોડવા સૂચના પણ આપવામાં આવી છે. આજે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદના કારણે જહાંગીરપુરા ખાતે આવેલા વીર સાવરકર આવાસમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી છે.આવાસમાં જાણે તળાવ હોય એવા દ્રશ્યો અહીં સામે આવ્યા છે.
પાણી ભરાઈ જતાં અહીં રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હજુ તો સુરત શહેરમાં સામાન્ય વરસાદ પડ્યો છે ત્યાં કેટલાક વિસ્તારોની અંદર પાણી ભરવાની સ્થિતિ સર્જાઈ છે. આ દ્રશ્યો જોતાં એવું લાગે છે કે સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ છે તો ભારે વરસાદ પડતાં કઈ રીતની સ્થિતિ સર્જાશે અને અહીં રહેતા લોકોને કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે તે જાણી શકાય છે. કારણ કે સ્કૂલમાં આવતા જતા બાળકોને વાલીઓ દ્વારા લેવા મૂકવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે છતાં પણ બાળકો ઘર સુધીના પાણીમાં પસાર થઈ અને સ્કૂલ તરફ જઈ રહ્યા છે.
ઉગત રોડ ઉપર આવેલ આ વીર સાવરકર આવાસની અંદર સૌથી મોટી બેદરકારી કોની? કારણ કે જ્યારે બિલ્ડીંગનું કન્ટ્રક્શન કરવામાં આવ્યું ત્યારે કોઈ ખ્યાલ રાખવામાં આવ્યો નહીં કે અહીં આટલા મોટા પ્રમાણમાં બિલ્ડીંગનું બાંધકામ થાય છે ત્યારે ચોમાસાની અંદર કઈ રીતની સ્થિતિ ઊભી થશે અને પાણીના નીકળવા માટે કઈ રીતે વ્યવસ્થા ઉભી કરવામાં આવે.