VNSGU : સેનેટની ચૂંટણી પરિણામમાં ભારે હંગામા બાદ ABVP નો ડંકો, AAPનું વિદ્યાર્થી સંગઠન ખાતું પણ ખોલાવી ન શક્યું
ભારે વિવાદ (Controversy ) વચ્ચે જયારે પરિણામ જાહેર થયું તેમાં આપનો સફાયો થયો હતો. અને એબીવીપી નો ડંકો વાગ્યો હતો. 12 પૈકી 10 બેઠકો પર એબીવીપી સમર્થિત ઉમેદવારોનો વિજય થયો હતો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સુરતની સેનેટની ચૂંટણીની મંગળવારે મતગણતરી(Counting ) શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપની ABVP અને AAPની યુવા છાત્ર સંઘર્ષ સમિતિ વચ્ચે મામલો ગૂંચવાયો હતો. બંને વિદ્યાર્થી સંગઠનો સામસામે આવી ગયા હતા. તેઓએ યુનિવર્સિટીમાં મુકવામાં આવેલા બેરિકેડ તોડી નાખ્યા અને એકબીજાને માર માર્યા હતા. CYSS કાર્યકરને માથામાં ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા મતદાન સમયે મારામારી થઈ હતી.
સેનેટ ચૂંટણીની મતગણતરી દરમિયાન ABVP અને આમ આદમી પાર્ટી સમર્થિત છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) ના કાર્યકરો વચ્ચે નાની અથડામણ થઈ હતી. વિવાદથી શરૂ થયેલી વાત મારામારીમાં ફેરવાઈ ગઈ. જેમાં છાત્ર સંઘર્ષ સમિતિના ધર્મેશ શંકરદાસરીયાને માથાના ભાગે ઈજા થતાં તેમને લોહીલુહાણ હાલતમાં એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી. પોલીસે પણ ભારે જહેમત બાદ વિદ્યાર્થીઓને કાબુમાં લીધા હતા.
વિદ્યાર્થી સંગઠનો વચ્ચે અથડામણ અને ઝપાઝપી થતાં તંગદીલી સર્જાઈ હતી. આથી ઘટનાની ગંભીરતા જોતા ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમાં ડીસીબી સાગર અને સચિન, સચિન જીઆઈડીસી, ઉમરા, ડીસીબી, એસઓજી સહિત અન્ય પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ઘટના વધુ વણસે તે પહેલા કાબુ મેળવ્યો હતો. મારામારીના કારણે આજુબાજુના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.
શું રહ્યું પરિણામ ?
જોકે ભારે વિવાદના અને જયારે પરિણામ જાહેર થયું તેમાં આપનો સફાયો થયો હતો. અને એબીવીપી નો ડંકો વાગ્યો હતો. 12 પૈકી 10 બેઠકો પર એબીવીપી સમર્થિત ઉમેદવારોનો વિજય થયો હતો, જયારે 02 બેઠકો એનએસયુઆઇના ફાળે ગઈ હતી. જેમાં વિદ્યાર્થીના પ્રશ્ન માટે લડત આપતા ભાવેશ રબાઈની શાનદાર જીત થઇ હતી, જયારે આપના યુવા છત્ર સંઘર્ષ સમિતિ ખાતું ખોલાવી શકી ન હતી.