Surat : આજથી 25 રૂપિયામાં ફરો આખું સુરત ! મુસાફરોએ માન્યો પાલિકાનો આભાર
હાલમાં બીઆરટીએસના (BRTS) 13 રૂટ અને સિટીબસના કુલ 45 રૂટ પર રોજના 2,30,000 જેટલા નાગરિક માસ ટ્રાન્સપોર્ટેશન સેવાનો લાભ લઇ રહ્યા છે.
સુરત (Surat ) મનપા દ્વારા સીટીલીંક લિંકના નેજા હેઠળ શહેરમાં 13 રૂટ પર બીઆરટીએસ (BRTS) અને 45 રૂટ પર સીટી બસ (Bus ) સેવા ચલાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ અને રોજીંદા પ્રવાસીઓ માટે આમ તો મંથલી પાસ રૂપે મનપા દ્વારા સુરત મની કાર્ડ વર્ષોથી ચલાવવામાં આવે જ છે, પરંતુ હવે મનપા દ્વારા આજથી 21 જુલાઈ 2022થી સુમન પ્રવાસ ટીકીટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. સિટીલિંકની બોર્ડની બેઠકમાં શહેરીજનોના હિત માટે આ અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાની સીટી બસ અને બીઆરટીએસ બસ સેવાનો રોજનો 2.30 લાખ જેટલા લોકો મુસાફરીનો લાભ લે છે. જોકે હજી પણ મોટી સંખ્યામાં સુરતીઓ આ બસ સેવાનો લાભ લે અને માસ ટ્રાન્સપોર્ટેશનનો મહત્તમ ઉપયોગ થાય તે હેતુથી મહાનગરપાલિકા અને સીટી લિંક દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આજે સવારે મેયર હેમાલી બોઘાવાળા સહિતના પદાધિકારોએ બસ સ્ટોપની મુલાકાત લઈને મુસાફરોને આ બાબતથી માહિતગાર કાર્ય હતા. એટલું જ નહીં તેઓએ મુસાફરોના બીજા સૂચનો પણ જાણવાના પ્રયત્નો કર્યા હતા. તેઓએ મુસાફરોને માહિતી આપી હતી કે હવે માત્ર 25 રૂપિયામાં એક જ ટિકિટ ખરીદીને ગમે તેટલી વખત આખા દિવસમાં આખા શહેરની મુસાફરી અનલિમિટેડ કરી શકાય છે. મુસાફરોએ પણ આજે મહાનગરપાલિકાની આ સેવાને વધાવી લીધી હતી.
નોંધનીય છે કે સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના ભાગરૂપે શહેરમાં સીટી બસ અને બીઆરટીએસ બસ દોડાવવામાં આવી રહી છે. જેનો રોજના લાખો લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને નવા વિસ્તારોમાં પણ આ સુવિધાને આપવામાં આવી રહી છે. ત્યારે મહત્તમ લોકો તેનો ફાયદો લે તેના માટે કોર્પોરેશન અને સીટી લિંક દ્વારા મની કાર્ડ અને એપનો વ્યાપ પણ વધારવામાં આવ્યો છે.
રોજના 2.30 લાખ લોકો બસ સેવાનો લાભ લઇ રહ્યા છે
તમને જણાવી દઈએ કે હાલ સમગ્ર ભારતમાં સુરત જ એક માત્ર એવું શહેર છે જ્યાં એક જ ટિકિટથી સિટીબસ અને બીઆરટીએસ બસમાં મુસાફરી કરી શકાય છે. હાલમાં બીઆરટીએસના 13 રૂટ અને સિટીબસના કુલ 45 રૂટ પર રોજના 2,30,000 જેટલા નાગરિક માસ ટ્રાન્સપોર્ટેશન સેવાનો લાભ લઇ રહ્યા છે.