સુરત(Surat ) જિલ્લામાં ગ્રામ વિકાસ વિભાગમાં છેલ્લા 14 વર્ષથી 11 માસ કરાર આધારિત કર્મચારીઓ (Employees )દ્વારા નિયમિત કરવાની માગ સાથે હડતાળનું(Strike ) શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જો કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી માંડીને ઉચ્ચાધિકારીઓ સુધી રજુઆત કરવા છતાં આ કર્મચારીઓની માંગણી સંદર્ભે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સંદર્ભે જાણવા મળતી માહિતી અનુસાર ગત 11મી તારીખથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર ઉતરેલા 40 જેટલા કર્મચારીઓમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 14 – 14 વર્ષથી રાજ્ય સરકારના ગ્રામ વિકાસ વિભાગમાં મનરેગા, મિશન મંગલમ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના વિભાગોમાં રાત-દિવસ મહેનત કરનારા આ કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે વહીવટી તંત્ર દ્વારા ભારોભાર અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
હડતાળ પર ઉતરેલા કરારીય કર્મચારીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલની મોંઘવારીમાં જે વેતન મળી રહ્યું છે તે ખુબ જ નજીવું છે અને ફિક્સ પગારને કારણે અમારૂં શોષણ થઈ રહ્યું હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. આ સ્થિતિમાં 11 માસ કરાર આધારિત જે કર્મચારીઓને પાંચ વર્ષ કે તેથી વધુનો સમય થઈ ચુક્યો છે તેઓને નિયમિત કરવાની માંગ છાશવારે કરવામાં આવી રહી છે.
આ સિવાય પ્રવર્તમાન પગાર પંચનો લાભ, વખતો વખત બહાર પાડવામાં આવતાં પગાર વધારા અને મોંઘવારી ભથ્થાનો લાભ આપવા તથા એલાઉન્ટ અને વેતન વિસંગતતા દૂર કરવા સહિતના 9 અલગ-અલગ મુદ્દાઓ સંદર્ભે કરારીય કર્મચારીઓ દ્વારા આવેદન પત્ર પાઠવવાની સાથે અનિશ્ચિતકાળની હડતાળ પર ઉતર્યા હોવા છતાં તંત્રના પેટનું પાણી હાલતું ન હોવાની હૈયાવરાળ પણ કર્મચારીઓ દ્વારા ઠાલવવામાં આવી હતી.
કર્મચારીઓએ જણાવ્યું હતું કે મોંઘવારીના સમયમાં અમારો પગાર વધતો નથી, બીજી તરફ અમારું શોષણ જ થઇ રહ્યું છે. સરકારની વિવિધ યોજનાઓ માટે રાત દિવસ મહેનત કરવા છતાં અમને કોઈ રાહત મળતી નથી. આ મામલે જો અમારી વાત નહીં માનવામાં આવે તો આગામી દિવસોમાં અમે ઉગ્ર વિરોધ નોંધાવીશું.