સુરત શહેરમાં પોલીસની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. લંડન રહેતા એક વૃદ્ધનું મકાન સુરતમાં રહેતા તેમના ભાણેજે પચાવી લીધુ હતુ. સુરતના ઉધના વિસ્તારમાં રહેતા રસિકલાલ પટેલ તેમના પરિવાર સાથે લંડનમાં રહે છે. રસિકલાલે તેમનુ મકાન વર્ષ 2015માં અનિલકુમાર નામના તેમના ભાણેજને રહેવા માટે આપ્યુ હતુ. સંબંધી હોવાથી તેઓ ભાણેજ પાસેથી કોઈ મકાન ભાડુ કે કંઈ લેતા ન હતા અને ભાણેજને ફ્રીમાં મકાન રહેવા આપ્યુ હતુ. સિનિયર સિટીઝન રસિકભાઈ આ વખતે લંડનથી પરત આવ્યા ત્યારે તેમણે ભાણેજને મકાન ખાલી કરવા બાબતે સૂચન કર્યુ હતુ. પરંતુ ભાણેજ અનિલકુમારે સ્પષ્ટપણે કહી દીધુ હતુ કે મકાન ખાલી કરાવવુ હોય તો 6 લાખ રૂપિયા આપવા પડશે. તેથી પોતાનુ મકાન પરત મેળવવા માટે રસિકલાલ પટેલ ઉધના પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
વૃદ્ધ રસિકલાલ પટેલ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા એ સમયે કમિશનર અજયકુમાર તોમર પણ ઉધના પોલીસ સ્ટેશનની મુલાકાતે હતા. વૃદ્ધને પોલીસ સ્ટેશનમાં આવેલા જોઈ તેમણે તેમના આવવાનું કારણ પૂછ્યુ હતુ અને તેમની રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ કમિશનર અજયકુમારે પોલીસ અધિકારીઓને તાત્કાલિક અસરથી આ મામલે નિરાકરણ લાવવાનો આદેશ આપ્યો હતો અને પોલીસ દ્વારા રસિકલાલ પટેલના ભાણેજને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા.
આ સમગ્ર કેસમાં પોલીસે પારિવારિક સમાધાન કરાવી રસિકલાલ પટેલને તેમનુ ઘર પરત અપાવ્યુ હતુ. રસિકલાલ પટેલને પોતાનું ઘર પોલીસની મધ્યસ્થતાથી તાત્કાલિક ઘર પરત મળી જતા તેઓ સુરત પોલીસ કમિશનર અજયકુમારનો અભાર માનવા સુરત પોલીસ કમિશનર ઓફિસ પર પહોંચ્યા હતા અને પોલીસ કમિશનરને મળી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મીડિયા સમક્ષ ણ પોલીસની કામગીરીને બિરદાવી હતી.
સુરત પોલીસની માનવતાપૂર્ણ કામગીરીને પગલે એક સિનિયર સિટીઝનને તેમનું ઘર પરત મળ્યુ છે. સુરત પોલીસ કમિશનરે સિનિયર સિટીઝનની રજૂઆત સાંભળી અંગત રસ લઈ સમસ્યાનું નિરાકરણ લાવ્યુ છે. જેને લઈને પોલીસની હકારાત્મક છબી સામે આવી છે. લંડનમાં રહેતા સિનિયર સિટીઝનને મકાન પરત મળતા તેમની ખુશીનો પણ કોઈ પાર રહ્યો નથી.
Published On - 8:11 pm, Tue, 1 November 22