Surat : હવે સુરતમાં તૈયાર થયા ઓનલાઇન એજ્યુકેશનની થીમ પર ગણપતિ
હાલ જે રીતે શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે. તે જ પ્રમાણે ગણપતિને ટેબલ પર પુસ્તક લઈને બેસેલા બતાવવામાં આવ્યા છે અને અભ્યાસ માટે તેમની સામે સ્ટેન્ડ પર મોબાઈલ મુકવામાં આવ્યો છે.
સુરતમાં ગણપતિ મહોત્સવની જોરશોરમાં તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. ત્યારે શહેરમાં મૂર્તિકારો દ્વારા ગણેશજીની પ્રતિમાઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુંબઈ બાદ સુરતમાં ગણપતિ મહોત્સવ ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે ગણપતિ મહોત્સવ સાદાઈથી જ ઉજવાયો છે.
જો કે કોરોનાએ બે વર્ષથી જનજીવન ભારે પ્રભાવિત કર્યું છે. ત્યારે સુરતમાં પણ મૂર્તિકારોએ આ થીમ પર ગણપતિની પ્રતિમા બનાવવાનું આયોજન કર્યું છે. આ પહેલા સુરતમાં વેક્સીન આપતા ગણપતિ બનાવવામાં આવ્યા હતા. ત્યારે હવે સુરતમાં એક મૂર્તિકારે ઓનલાઇન એજ્યુકેશનની થીમ પર ગણપતિની પ્રતિમા તૈયાર કરાઈ છે.
આ થીમ પર તૈયાર કરાયેલી ગણેશજીની પ્રતિમામાં ગણપતિ બાપ્પાને વિદ્યાર્થીના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવ્યા છે. હાલ જે રીતે શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન ચાલી રહ્યું છે તે જ પ્રમાણે ગણપતિને ટેબલ પર પુસ્તક લઈને બેસેલા બતાવવામાં આવ્યા છે અને અભ્યાસ માટે તેમની સામે સ્ટેન્ડ પર મોબાઈલ મુકવામાં આવ્યો છે. અને આ રીતે તેમને ઓનલાઇન અભ્યાસ કરતા દર્શાવવામાં આવ્યા છે. જે હાલના કોરોનાકાળના સમયને અનુરૂપ મૂર્તિ ઘડી છે.
આ પહેલા પણ સુરતના એક મૂર્તિકારે વેક્સિનેશન અભિયાનમાં જાગૃતિ લાવવા માટે વેક્સીન લેતા ગણપતિ તૈયાર કરવામાં આવ્યા હતા. અને કોરોના સામે લડવા માટે લોકોને વેક્સિનનો મહત્તમ લાભ લેવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો. ત્યારે હવે, કોરોનાને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવતુ હોવાથી, મૂર્તિકારે ગણપતિને ઓનલાઈન શિક્ષણ લેતા વિદ્યાર્થી સ્વરૂપમાં બતાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી સુરતમાં થીમ બેઇઝ ગણપતિની બોલબાલા સુરતમાં ખુબ વધી રહી છે.
આ પહેલા પણ અનેક થીમ જેમ કે કારગિલ વોર, આઇપીએલ, ટિમ ઇન્ડિયા વગેરે થીમ પર ગણપતિ બનાવી લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો. થીમ બેઇઝ મૂર્તિ તૈયાર કરતા મૂર્તિકારોનું માનવું છે કે તેનાથી લોકોને સંદેશો પણ મળી જાય છે અને ભક્તિ પણ થઇ જાય છે. ચાલુ વર્ષે ગણેશ આયોજકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે આ વર્ષે હવે જયારે કોરોનાના કેસો ઓછા થયા છે ત્યારે સાદાઈથી પણ ગણેશ મહોત્સવને ઉજવવાની પરવાનગી આપવામાં આવે.