આગામી તારીખ 29 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi ) સુરત વિઝિટની પૂરેપૂરી સંભાવનાના પગલે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ (Preparation )કરવામાં આવી રહી છે. વડા પ્રધાનની સભા માટેની જંગી જનમેદનીનો સમાવેશ કરી શકાય તે હેતુથી લીંબાયત નીલગીરી મેદાન પર પસંદગી ઉતારવામાં આવે તેવી શક્યતા છે. જોકે મનપા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર રીતે આ અંગે જાહેરાત કરવામાં આવી નથી. પીએમઓ તરફથી પણ 29 સપ્ટેમ્બરના વડા પ્રધાન મોદીની સુરત મુલાકાત અંગે કોઈ સ્પષ્ટતા અત્યાર સુધી કરાઈ નથી કે વડા પ્રધાન મોદી સુરતમાં જાહેર સભાના આયોજન અંગેના સ્થળ અંગે કોઈ જ સત્તાવાર સ્પષ્ટતા પણ થઈ નથી. પરંતુ વહીવટીતંત્ર દ્વારા પીએમની જાહેરસભા યોજી શકાય તે પ્રકારે તૈયારીઓ કરી રહ્યું છે.
બીજી બાજુ મનપા તંત્ર દ્વારા 29 સપ્ટેમ્બરની વડા પ્રધાનની સુરત મુલાકાત મોટે ભાગે નિશ્ચિત હોવાની ગણતરી સાથે તૈયારી હાથ ધરવામાં આવી છે. મનપાના પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેલ (હાઉસિંગ વિભાગ દ્વારા) વડા પ્રધાન મોદીની સંભવિત જાહેર સભાના સ્પષ્ટ નામ ઉલ્લેખ કર્યા વગર ફક્ત જાહેર સભામાં 50 હજારથી એક લાખ લોકોની કેપેસિટી ધરાવતી સ્થળ જગ્યા પર આયોજન માટેના ઉલ્લેખ સાથે ટેન્ડર ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેમાં મંડપ, ડેકોરેશન, એડવર્ટાઈઝિંગ, ઈલેકટ્રીફિકેશન, સાઉન્ડ સિસ્ટમ, એલઈડી લાઈટ, એલઈડી સ્ક્રીન, ડિઝીસેટ અને અન્ય સુવિધાઓ ભાડા ધોરણે મેળવવા માટે ખર્ચના અંદાજ સાથે ટેન્ડર પણ ઈશ્યુ કરી દીધા છે.
વડા પ્રધાન મોદીની સુરત મુલાકાતની સત્તાવાર જાહેરાત તથા જાહેરસભાના લોકેશન નિર્ધારિત થયા બાદ તંત્ર દ્વારા જાહેર સભા સ્થળે આનુસંગિક કામગીરી માટે અત્યારથી જ તૈયારી કરી દીધી છે. જેથી વિવિધ એજન્સીઓ પાસે બંધ કવરમાં ઓફરો મંગાવવાની જરૂરત ઉભી ન રહે.
આ ટેન્ડર અંદાજે 9 કરોડની આસપાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. પીએમઓ તરફથી પીએમની સુરત મુલાકાતનો હકારાત્મક જવાબ મળતાની સાથે જ કામગીરી પુરજોશમાં શરૂ પણ કરી દેવામાં આવશે. જોકે તે પહેલા જે ઔપચારિકતા સભા સ્થળને લઈને કરવાની રહે છે, તે તમામ પૂર્ણ કરવામાં કોર્પોરેશન કામે લાગ્યું છે. જંગી જનમેદનીને સંબોધવાની સાથે પીએમની આ મુલાકાત મેગા શો બની રહે તે માટે સુરત ભાજપ પણ તમામ પ્રયાસો કરી રહી છે.