Surat : મેટ્રો સ્ટેશનને પગલે લંબે હનુમાન ગરનાળું આજથી 1 વર્ષ માટે બંધ, લોકોની હાડમારીની શરૂઆત
આજથી સુરત શહેરના છ અલગ - અલગ વિસ્તારોમાં મેટ્રો સ્ટેશનની કામગીરીને પગલે રસ્તાઓ બંધ કરવાના આદેશ ફરમાવામાં આવ્યા છે. જેમાં લંબેહનુમન રોડ પર પર રેલવે સ્ટેશન જય વિજય રેસ્ટોરેન્ટ્સથી લંબે હનુમાન પોલીસ ચોકી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

રાજ્યના આર્થિક પાટનગર સુરત (Surat )શહેરની સમૃદ્ધિના પ્રતિક સમાન સાબિત થનાર મેટ્રો રેલ પ્રોજેક્ટના(Metro Rail Project ) પહેલા તબક્કાની કામગીરીનો ધમધમાટ હવે જોવા મળી રહ્યો છે. આજથી મેટ્રો સ્ટેશનની કામગીરીને પગલે શહેરના અલગ – અલગ છ રસ્તાઓ પર ડાયવર્ઝન મુકવામાં આવ્યું છે. જે આગામી એક વર્ષ સુધી અમલમાં રહેશે અને આ નિર્ણયને પગલે વાહન ચાલકો અને રાહદારીઓની હાડમારીમાં નિશ્ચિતપણે વધારો થવા પામશે.
આજે વહેલી સવારથી લંબે હનુમાન રોડ ગરનાળું બંધ કરવામાં આવતાં પીક અવર્સ દરમ્યાન ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા અને તેને પગલે ટ્રાફિક પોલીસે પણ ભારે કસરત કરવી પડી હતી. સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત આજથી ચોકબજારથી કાપોદ્રા સુધીના 7 કિલોમીટર લાંબા અન્ડર ગ્રાઉન્ડ રૂટમાં છ સ્ટેશન બનાવવાની કામગીરીનો પ્રારંભ થવા પામ્યો છે. જેને પગલે આ વિસ્તારમાં આવેલા અલગ – અલગ રસ્તાઓ એક વર્ષ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જોકે વાહન ચાલકો અને રાહદારીઓની સુગમતા માટે વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે પરંતુ પહેલા જ દિવસે લંબે હનુમાન રોડ ગરનાળું બંધ હોવાને કારણે વાહન ચાલકોને વહેલી સવારે ભરશિયાળામાં ઓફિસ – કામ ધંધે પહોંચવામાં પરસેવો વળી ગયો હતો. પીક અવર્સને પગલે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા લંબે હનુમાન ટ્રાફિક ચોકીના પોલીસ કર્મચારીઓએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આજથી સુરત શહેરના છ અલગ – અલગ વિસ્તારોમાં મેટ્રો સ્ટેશનની કામગીરીને પગલે રસ્તાઓ બંધ કરવાના આદેશ ફરમાવામાં આવ્યા છે. જેમાં લંબેહનુમન રોડ પર પર રેલવે સ્ટેશન જય વિજય રેસ્ટોરેન્ટ્સથી લંબે હનુમાન પોલીસ ચોકી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં વાહન ચાલકો માટે વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક રસ્તા માટે લંબે હનુમાન જેબી ડાયમંડ સર્કલથી દિલ્હી ગેટ અને રિંગરોડ તરફ આવવા માટે લંબે હનુમાન ચોકીથી વરાછા મેઈન રોડ, આયુર્વેદિક કોલેજ સર્કલથી સ્ટેશન રોડ અથવા લાલ દરવાજા રોડનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
આ સિવાય કતારગામ તરફ જવા માટે વરાછા મેઈન રોડ પરથી લાલ દરવાજા રોડ પર થઈને જવા માટે પણ વાહન ચાલકોને સુચના આપવામાં આવી છે. આ સ્થિતિ વચ્ચે પણ આજે પહેલા જ દિવસે લંબે હનુમાન ગરનાળું બંધ કરવામાં આવતાં પીક અવર્સમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. અધુરામાં પુરૂં મોટા ભાગની એસટી બસો પણ આ જ રસ્તાનો ઉપયોગ કરતી હોવાને કારણે અરાજકતા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : Surat : વેસુની સુમન મલ્હાર આવાસ યોજનાના કોન્ટ્રાકટર સામે પાલિકાની ઢીલી નીતિથી લાભાર્થીઓ મકાનથી હજી પણ વંચિત