Surat : હિન્દી પ્રાદેશિક ભાષાઓની પ્રતિસ્પર્ધક નહીં, સખી છે: અમિત શાહ
હિન્દી ભાષા અંગે તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજભાષા એ અન્ય કોઈ પ્રાદેશિક ભાષાઓની સ્પર્ધક નહીં પરંતુ સખી છે.
શહેરના આંગણે પહેલી વખત હિન્દી (Hindi )દિવસ સમારોહ અને દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલનમાં આયોજન સંદર્ભે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah )જણાવ્યું હતું કે, આ શહેરના પનોતા પુત્ર વીર નર્મદ દ્વારા જ પહેલી વખત અંગ્રેજોને દેશનું શાસન હિન્દીમાં કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આગામી 25 વર્ષોમાં આપણો દેશ કોઈ પણ ભાષાની લઘુતાગ્રંથિમાં ન બંધાઈ રહે તે સૌથી મહત્વપૂર્ણ છે. આજની સ્થિતિને ધ્યાને રાખીને રાજભાષા તરીકે હિન્દીને પ્રાધાન્ય આપવા પર પણ તેઓએ સૌથી વધુ ભાર મુક્યો હતો.
ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ હિન્દી દિવસ સમારોહ અને દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સમ્મેલનના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે વિભિન્ન વિભાગો અને સંસ્થાઓ દ્વારા હિન્દી ભાષાના ઉત્થાન માટે કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી બદલ રાજભાષા કીર્તિ પુરસ્કાર 2021-22નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
હિન્દી દિવસના અવસર પર અમિત શાહે ઈન્ડોર સ્ટેડિયમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને શ્રોતાઓને હિન્દી દિવસની શુભેચ્છાઓ પાઠવતાં રાજભાષા હિન્દીને આગળ વધારવા માટે અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ખુદ મહાત્મા ગાંધીજી પણ હિન્દી વિના આપણા રાષ્ટ્રને મુંગુ ગણતા હતા ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 હેઠળ રાજભાષા હિન્દીને પ્રાથમિક શિક્ષણમાં જ સ્વભાષા તરીકે ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.
આ સિવાય આગામી દિવસોમાં માત્ર પ્રાથમિક જ નહીં પરંતુ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં હિન્દી ભાષાને પ્રાધાન્ય આપવા પર પણ તેઓએ ભાર મુક્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હવે આગામી સમયમાં મેડિકલ સહિત એન્જીનિયરિંગના અભ્યાસક્રમ પણ રાજભાષા હિન્દીમાં ભણાવવામાં આવશે જેનાથી છેવાડા વિદ્યાર્થીઓને પણ નિશ્ચિતપણે લાભ મળશે. દેશના યુવાઓને પણ આ અવસરે તેઓએ અપીલ કરતાં જણાવ્યું હતું કે, હિન્દીને રાજભાષા તરીકે સ્વીકાર કરવાની સાથે – સાથે યુવાઓમાં હિન્દી પ્રત્યે જે લઘુતાગ્રંથિ તે દુર કરવાનો સમય પાકી ગયો છે.
હિન્દી ભાષાની મહત્તા અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હિન્દી ભાષાના મુળાક્ષરો આજે દેશ – દુનિયાની 70થી વધુ ભાષાએ સ્વીકાર કર્યા છે. હિન્દી ભાષા અંગે તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, રાજભાષા એ અન્ય કોઈ પ્રાદેશિક ભાષાઓની સ્પર્ધક નહીં પરંતુ સખી છે. તેઓએ આ દરમ્યાન જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોર્ટ કાર્યવાહીની ભાષા પણ સ્થાનિક બનાવવા તરફ નિર્ણય લેવામાં આવશે.