કામરેજ(kamrej ) ખાતે ઉદ્યોનગરમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં આજે આગ(Fire ) ફાટી નીકળતા સ્થળ ઉપર ભારે અફડાતફડી અને ભાગદોડ મચી ગઈ હતી. ગેસ(gas ) સિલિન્ડરનો બાટલો ખોલતી વખતે ફ્લેશ ફાયર થવાના લીધે આગ ભડકી ઉઠી હતી જેના કારણે ગોડાઉનમાં આગ પ્રસરવાની સાથે ત્યાં હાજર માલિક સહીત ત્રણ જણા લપેટમાં આવી જતા દાઝી ગયા હતા. તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલેન્સ દ્વારા સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી.
ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કામરેજ સીઆરસી ફાયર સ્ટેશની સામે ઉદ્યોગ નગરમાં સાંવરિયા પ્લાસ્ટિકના નામથી ભંગારનો ગોડાઉન આવેલ છે. દરમિયાન સવારે ફાયર કંટ્રોલને આ ગોડાઉનમાં આગ લાગવાનો કોલ મળતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગની ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી.
ફાયર ઓફિસર પ્રવીણ પટેલે જણાવ્યું હતું કે એલપીજી ગેસ સિલિન્ડરનો બાટલો ખોલતી વખતે ફ્લેશ ફાયર થતા આગ ભડકી ઉઠી હતી અને ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી આગની લપેટમાં આવતા ગોડાઉનના માલિક શાંતિલાલભાઈ દાલચંદ ગુર્જર તેમજ ત્યાં કામ કરતા મોહનભાઇ અને અશોકભાઈ દાઝી જતા તેમણે 108 એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓની હાલત સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
જોકે થોડા સમયમાં જ આગને કંટ્રોલમાં લઇ લેવામાં આવી હતી ત્યાર બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ભંગારના ગોડાઉનથી સીઆરસી ફાયર સ્ટેશનથી માત્ર અડધા કિલોમીટરના અંતરે જ હતું જેથી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળે ઉપર પહોંચી ગયો હતો અને આગને સમયસર કંટ્રોલમાં કરી લેતા વધુ પ્રસરતા તેમજ નુકશાની થતા રહી ગઈ હતી. ટાયર સહીત ભંગારનો માલ સામાન આગમાં બળી ગયો હતો. જોકે આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.