Surat : ત્રીજી લહેરના ભણકારા, બપોર સુધી સુરતમાં કોરોનાના કેસ 250 ને પાર
હાલ સુરત શહેરના અઠવા અને રાંદેર સહિતના તમામ ઝોન વિસ્તારમાં રોજના 15 હજારથી વધુ રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
રાજ્યમાં અમદાવાદ બાદ સુરત(Surat ) શહેરમાં કોરોના (Corona )મહામારીના ત્રીજા તબક્કાની સંભવિત લહેરના ભણકારા સંભળાઈ રહ્યા છે. દિવસે ને દિવસે વધી રહેલા કોવિડના કેસો વચ્ચે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પણ હાલ વામણાં સાબિત થઈ રહ્યા છે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે નાગરિકોને કરવામાં આવી રહેલી અપીલ વચ્ચે પણ મોટા ભાગના વિસ્તારોમાં ટોળે વળતાં નાગરિકો ખુલ્લેઆમ કોરોનાને નિમંત્રણ આપી રહ્યા છે. બુધવારે બપોર સુધીમાં જ સુરત શહેરમાં 250 નાગરિકોનો કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.
મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર બુધવારે સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં મળીને વધુ 250 નાગરિકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. આ સાથે બુધવારે સાંજ સુધીમાં સંભવતઃ કોરોનાગ્રસ્ત દર્દીઓનો કુલ આંકડો 600ને પાર પહોંચે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
સતત વધી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યાને પગલે હવે વહીવટી તંત્ર દ્વારા પણ નાગરિકોને સાવચેત રહેવા સાથે સાથે વિવિધ દિશા – નિર્દેશો જાહેર કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં શહેરના બજારોમાં ટોળે વળતાં નાગરિકો સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિત કોવિડ-19ની ગાઈડ લાઈનના ધજાગરાં ઉડાવી રહેલા નજરે પડી રહ્યા છે.
આ સ્થિતિમાં આગામી દિવસોમાં કોરોનાની સુનામી સુરત શહેર પર ફરી વળે તેવી પ્રબળ શક્યતાઓ છે. ગત રોજ સુરત શહેરમાં જ કોરોનાગ્રસ્ત કુલ દર્દીઓનો આંકડો 415ને આંબી ગયો હતો. જેમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 166 જ્યારે રાંદેર ઝોનમાં 106 કેસ નોંધાયા હતા. આ સિવાય શહેરની અલગ – અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 18 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જયારે સિવિલ અને સ્મીમેર સહિત ખાનગી હોસ્પિટલમાં હાલ 39 દર્દીઓ સારવાર હેઠળ છે.
રોજના 15 હજારથી વધુ રેપિડ ટેસ્ટ કોરોના વાયરસના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે મહાનગર પાલિકા દ્વારા ટેસ્ટિંગ પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. હાલ સુરત શહેરના અઠવા અને રાંદેર સહિતના તમામ ઝોન વિસ્તારમાં રોજના 15 હજારથી વધુ રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને તેના માટે ધવન્તંરી રથની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે.
ડિસેમ્બર મહિનાના બીજા પખવાડિયાના પ્રારંભ સાથે જ સુરત શહેરને જાણે કોરોનાની નજર લાગી હોય તેમ કેસો ગણતરીના દિવસોમાં બમણાં થઈ રહ્યા છે. અઠવા અને રાંદેર ઝોન તો જાણે કોરોના મહામારીના ગઢ હોય તેમ સૌથી વધુ કેસો આ બન્ને ઝોનમાં નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા દર્દીઓના સંપર્કમાં આવેલા નાગરિકોના ટેસ્ટિંગમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. એક તબક્કે સુરત શહેરમાં ધનવંતરી રથની સંખ્યા 99 હતી જે હવે તબક્કાવાર વધારીને 156 પર પહોંચી ચુકી છે અને આગામી દિવસોમાં આ સંખ્યા 200 સુધી કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.
આ પણ વાંચો :Surat Metro Rail: દેશમાં ચેન્નાઇ બાદ બીજું અંડરગ્રાઉન્ડ સ્પ્લિટ સ્ટેશન સુરતમાં બનશે, જાણો વિગત
આ પણ વાંચો : SURAT : ક્રિપ્ટો આરબીટ્રેજમાં રોકાણના નામે 2 કરોડ 65 લાખની છેતરપિંડી, જાણો ઠગબજોએ કેવો પ્લાન બનાવ્યો