Surat : પરિણામના બે મહિના પછી પણ એક લાખ વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અધ્ધરતાલ
યુનિવર્સીટીમાં ડિજિટલાઇઝેશનના નામે ચાલી રહેલી વાતો વચ્ચે હજી બે મહિના પછી પણ કોલેજોમાં પ્રવેશના કોઈ જ ઠેકાણા નથી દેખાઈ રહ્યા. તેવામાં હજારો વિદ્યાર્થીઓ આગામી પંદર દિવસ પછી કે એક મહિનામાં પ્રવેશ મળી જશે તેવી આશા રાખીને બેઠા છે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી (VNSGU) સંલગ્ન કોલેજોમાં (Colleges) નવા સત્ર 2021-22માં પ્રવેશની આશા રાખીને બેસેલા 1 લાખ વિદ્યાર્થીઓને (Students) પ્રવેશ માટે ફાંફા પડી રહ્યા છે.
યુનિવર્સીટીમાં ડિજિટલાઇઝેશનના નામે ચાલી રહેલી વાતો વચ્ચે હજી બે મહિના પછી પણ કોલેજોમાં પ્રવેશના કોઈ જ ઠેકાણા નથી દેખાઈ રહ્યા. તેવામાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારા હજારો વિદ્યાર્થીઓ આગામી પંદર દિવસ પછી કે એક મહિનામાં પ્રવેશ મળી જશે તેવી આશા રાખીને બેઠા છે.
ધોરણ 12 સાયન્સના પરિણામો પછી યુનિવર્સીટી દ્વારા વહેલી તકે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી હતી અને તે પછી સપ્ટેમ્બર મહિનામાં જ નવા વર્ગો શરૂ થઇ જશે તેવા દાવા પણ કર્યા હતા. તારીખ 17 જુલાઈના રોજ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ યુનિવર્સીટીએ 22 જુલાઇથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી. તે સાથે જ બીકોમ, બીબીએ, બીસીએમાં પણ રજીસ્ટ્રેશન શરૂ થયું હતું.
તારીખ 31 જુલાઈએ ધોરણ 12 કોમર્સના પરિણામ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓએ પણ ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જોકે તે પછી બે મહિનાનો સમય વીતી ગયો છે. છતાં હજી સુધી સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રોવિઝનલ મેરીટ લીસ્ટના ઠેકાણા ન હોય વાલી, વિદ્યાર્થીઓની સાથે કોલેજના આચાર્ય, અધ્યાપકોની ચિંતા પણ વધી ગઈ છે.
બીજી બાજુ એક લાખ જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરી હોય તેઓને પણ ક્યારે પ્રવેશ ફાળવાશે તેની રાહ જોઈને બેઠા છે. નોંધનીય છે કે કોરોના મહામારી વચ્ચે ગત વર્ષે શૈક્ષણિક સત્ર મોડેથી શરૂ થયું હતું. આખું વર્ષ શૈક્ષણિક કાર્ય પર અસર પણ થઇ હતી. આ વર્ષે ધોરણ 12 સાયન્સ અને કોમર્સમાં 100 ટકા પરિણામ સાથે કોલજ અને યુનિવર્સીટીની પ્રવેશ પ્રક્રિયા ઝડપી પુરી થઇ છે.
તેની સાથે શૈક્ષણિક કાર્ય પણ વહેલું શરૂ થશે તેવી આશા હતી. પણ તેની સામે આ વર્ષે પણ યુનિવર્સીટી તંત્ર ઓનલાઇન પ્રવેશ પ્રકિયા મુદ્દે હજી પણ નિષ્ફ્ળ સાબિત થયું છે. છેલ્લા ચાર મહિનામાં ઉપરાછાપરી બેઠકોની સાથે જ અનેક નાના મોટા નિર્ણયો લેવામાં આવી રહી છે. જેમાં ઓગસ્ટમાં મળેલી બેઠકમાં પહેલી સપ્ટેમ્બરે કોલેજોમાં નવું સત્ર શરૂ થઈ જશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જોકે હજી તેના માટે પંદર દિવસ જેટલો સમય નીકળી જશે તેવું લાગી રહ્યું છે.