Surat: પહેલાં કોરોના અને હવે મેટ્રો રેલની કામગીરીથી સુરત ભાગળ વિસ્તારના વેપારીઓ સામે આર્થિક સંકટ
શહેરના વિકાસ અને શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનના વિકલ્પ માટે આ મેટ્રો પ્રોજેકટ જરૂરી છે, પરંતુ આ કામગીરીથી સુરતના ભાગળ વિસ્તારના વેપારીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરતમાં હાલ મેટ્રો રેલની (Metro Rail) કામગીરી ચાલી રહી છે. શહેરના વિકાસ અને શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનના વિકલ્પ માટે આ મેટ્રો પ્રોજેકટ જરૂરી છે, એ વાતમાં પણ શંકા નથી. પરંતુ આ કામગીરીથી સુરતના ભાગળ વિસ્તારના વેપારીઓને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
આજે સુરત મનપા કચેરી બહાર ટાવર રોડ વેપારી એસોસિયેશનના વેપારીઓ દ્વારા બેનરો સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મેટ્રો રેલની કામગીરી સામે તેમને કોઈ વિરોધ નથી. પરંતુ તેના કારણે તેમને આર્થિક સંકટ ઉભું થયું છે. કોરોનાના કારણે પહેલાંથી જ વેપારીઓના ધંધા રોજગાર પર મોટી અસર પડી હતી. રોજીરોટી ગુમાવવાનો વારો આવ્યો હતો.
મેટ્રોની કામગીરી દુકાન આગળ જ ચાલતી હોવાથી તેઓ પોતાના વાહન લઈને આવી શકતા નથી કે કોઈ ગ્રાહક આવવા તૈયાર થાય છે. ટ્રાફિકજામની પરિસ્થિતિ રહેતા વેપાર ધંધો ખાલી દુકાન ખોલવા પૂરતો જ રહ્યો છે. ત્યારે આજે વેપારીઓએ પાલિકા કચેરી પર રજુઆત કરી હતી. વેપારી એસોસિએશનના આગેવાન પ્રગનેશભાઈએ જણાવ્યું હતું કે, તેઓને મેટ્રો કામગીરી સામે વિરોધ નથી. પરંતુ કોરોનાની મારથી વેપારીઓ માંડ બેઠા થયા છે. ત્યાં મેટ્રોને કારણે ધંધો ઠપ્પ થઈ ગયો છે.
અન્ય એક વેપારીએ ઉમેર્યું હતું કે, આવા 250 જેટલા વેપારીઓ છે જેમને મેટ્રોને કારણે નુકશાન ભોગવવું પડી રહ્યું છે. તેઓ મેટ્રો રેલ સામે વિરોધ નથી દર્શાવતા પરંતુ તંત્રએ થોડો સમય આપવો જોઈએ જેથી તેઓ આર્થિક રીતે બેઠા થઈ શકે.