Surat : કોર્પોરેશનના સાઇકલ ટ્રેક બન્યા ટુ વ્હીલર વાહનો માટે પાર્કિંગ પ્લેસ
બીજી તરફ ભૂલ કોર્પોરેશનની (SMC) પણ છે કારણ કે મનપા દ્વારા પણ પ્રોજેક્ટો લાગુ કરી દેવામાં આવે છે પરંતુ તે પ્રોજેક્ટ સફળ થાય કે તે લોકઉપયોગી થાય છે કે કેમ તે અંગે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી.
સુરત(Surat ) કોર્પોરેશન દ્વારા શહેરમાં સ્પોર્ટસ(Sports ) એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં પણ શહેરમાં ઘણા વિસ્તારોમાં અલગથી સાઇકલ (Cycle )ટ્રેક બનાવવામાં આવ્યા છે. પરંતુ આ જ સાઇકલ ટ્રેક પર લોકો સાઇકલ ચલાવવાને બદલે વાહનોનું પાર્કિંગ કરી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયા ખર્ચીને સાઇકલ ટ્રેક માટે પેઈન્ટ અને સાઈનેજીસ લગાવવામાં આવે છે, પરંતુ શહેરીજનો જાણે આવા સારા પ્રોજેક્ટોની જાણે કદર ન કરી રહ્યા હોય તેમ આ જ સાઇકલ ટ્રેક પર ખાનગી વાહનો પાર્ક કરી રહ્યાં છે.
બીજી તરફ ભૂલ કોર્પોરેશનની પણ છે કારણ કે મનપા દ્વારા પણ પ્રોજેક્ટો લાગુ કરી દેવામાં આવે છે પરંતુ તે પ્રોજેક્ટ સફળ થાય કે તે લોકઉપયોગી થાય છે કે કેમ તે અંગે યોગ્ય ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે ઘણા સારા પ્રોજેક્ટો લોકોને કામ આવી રહ્યા નથી.
નોંધનીય છે કે શહેરના તમામ 45 અને 30 મીટર પહોળા રસ્તા પર બંને તરફ ડેડિકેટેડ સાયકલ ટ્રેક બનાવવા તેમજ તમામ ઝોન ઓફિસો પર સાયકલ માટે અલાયદા પાર્કિંગ પણ બનાવવાની કામગીરી કરવા માટે મનપા કમિશનર દ્વારા જે-તે ઝોનમાં સુચના પણ આપી દેવામાં આવી છે. જેના આધારે શહેરના 45 મીટર વધુ પહોળાઈનાં રસ્તા પર રસ્તાની બન્ને તરફે 3 મીટરનાં ડેડિકેટેડ સાયકલ ટ્રેક તેમજ 30 મીટર કે તેથી વધુ અને 45 મીટરથી ઓછી પહોળાઈનાં રસ્તા પર રસ્તાની પહોળાઈનાં રસ્તા પર રસ્તાની બન્ને તરફે 2 મીટરનાં ડેડિકેટેડ સાયકલ ટ્રેક બનાવવાનું આયોજન છે.
આ સાયકલ ટ્રેક લોકોને ઉપયોગી થઈ જ રહ્યા નથી. કારણ કે, અહી ખાનગી વાહનો પાર્ક થઈ જાય છે. મનપા દ્વારા જો અહી સાયક્લ ટ્રેકમાં મુકવામાં આવતા વાહનોને દંડ કરવામાં આવે કે વાહનો ઉંચકી લેવામાં આવે તો સાયકલ ટ્રેક ખરા અર્થમાં લોકોને ઉપયોગમાં આવી શકે તેમ છે.
હાલ જ સુરત મનપા અને ITDP સંસ્થા સાથે શહેરને સાઇકલિંગ ફ્રી બનાવવા એમઓયુ કરાયા હતા
સુરત શહેરને સુરતને સાયકલિંગ તથા વોકિંગ ફેન્ડલી સિટી બનાવવા માટે સુરત મનપા કમિશનર બંછાનિધિ પાની અને ITDP (Institute for Transportation Development Policy) India Programme સાઉથ એશિયાના ડિરેકટર અશ્વથી દિલીપની વચ્ચે સુરત શહેરમાં સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ અંતર્ગત એમઓયુ થયા હતા. પરંતુ શહેરને સાયકલિંગ ફ્રી બનાવવાની વાતો હજી પણ ફક્ત કાગળ પર જ દેખાઈ રહી છે.