Surat મનપાનો પ્રિ-મોન્સુન પ્લાન માત્ર કાગળ પર, નાનપુરાના રહીશો ખોદકામથી એક વર્ષથી ત્રસ્ત
સુરત મહાનગર પાલિકા(SMC)નો પ્રિમોન્સૂન પ્લાન આ વર્ષે પણ ખાડે જાય તેવી સંભાવના છે. કારણ કે શહેરના મોટા ભાગના માર્ગો(Road)ખોદેલી હાલતમાં છે જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
Surat: ચોમાસુ આવવાની તૈયારીમાં છે અને ઘણા શહેરોમાં તો પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ પણ થઈ ગઈ છે.તેવા સમયે સુરત મહાનગર પાલિકા(SMC)નો પ્રિમોન્સૂન પ્લાન આ વર્ષે પણ ખાડે જાય તેવી સંભાવના છે. કારણ કે શહેરના મોટા ભાગના માર્ગો (Road) ખોદેલી હાલતમાં છે જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનો દાવો
સુરત (Surat) મહાનગર પાલિકા(SMC)દ્વારા પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સુરતના જાહેર માર્ગો (Road) હોય કે આંતરિક રસ્તાઓ પર હજી કામ ચાલુ છે એવા બોર્ડ ઘણા વિસ્તારમાં લાગેલા જોવા મળશે. જોકે રસ્તા માટેની પ્રિમોન્સૂન કામગીરી પૂર્ણ કરવાની ડેડલાઈન 31 મે રાખવામાં આવી હતી. પરંતુ 31 મે પહેલા આ કામો પૂર્ણ કરવાના હોય છે અથવા તો સેફ સ્ટેજ પર લાવવાના હોય છે. પણ વાસ્તવિક પરિસ્થિતિ અલગ જ દેખાઈ રહી છે.
નાનપુરા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ
સુરત((Surat)ના માછીવાડ નાનપુરા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી નહિ પણ છેલ્લા એક વર્ષથી ડ્રેનેજ લાઇન બેસાડવાનું કામ ચાલી રહ્યું છે જે હજી પૂર્ણ થયું નથી. જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે. ગટરનું કામ ચાલતું હોવાથી દુર્ગંધ અને મચ્છરોની પણ તેટલી જ હેરાનગતિ રહે છે.
કોરોના સિવાય બીજા રોગચાળાનો ભય
આ ઉપરાંત કામ ઝડપથી આટોપવા વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે પણ તેનું આજદિન સુધી નિરાકરણ આવ્યું નથી. સ્થાનિકોને ડર છે કે ચોમાસામાં પણ જો આ જ હાલત રહેવાની છે તો કોરોનાની સાથે તેમને બીજા રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે.
રસ્તાના રીપેરીંગ માટે ઉતારવામાં આવેલી વેઠથી પરેશાન લોકો
આ માત્ર એક વિસ્તારની વાત નથી ઉધના દરવાજા, માન દરવાજા, ગોપીપુરા, સોનિફળિયા, કાદરશાની નાળ એ સહિતના વિસ્તારોમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળે છે જ્યાં લોકો ખોદકામથી અને રસ્તાના રીપેરીંગ માટે ઉતારવામાં આવેલી વેઠથી લોકો પરેશાન થઈ ચુક્યા છે.